છોટાઉદેપુરના છુછાપુરા નજીક કાર અને એસટી બસ વચ્ચે ભીષણ અકસ્માત : 4 ના કમકમાટીભર્યા મોત
છોટાઉદેપુર: છોટાઉદેપુરના (Chhota Udepur) સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક મોડી રાત્રે એક એસટી બસ (ST Bus) અને કાર (Car) વચ્ચે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં (Accident) ચાર લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું જેના કારણે મૃતકોને બહાર કાઢવા માટે દરવાજા તોડવા પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના પાસિંગની સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર ગઈકાલે રાત્રે છુછાપુરા ગામ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. એસટી બસ રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું છે. કાર બસ સાથે અથડાતા કાર ગૂંચળું વળી ગઈ હતી અને કારમાં સવાર ચારેય વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.
ધ્દાકાભેર અકસ્માત થવાના કારણે આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, કારને ભારે નુકસાન પહોંચવાના કારણે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી અને આ મૃતદેહો બહાર કાઢતા સવાર થઇ ગઈ હતી.
ચાર મૃતકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચારેયના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જોકે, એસટી બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો પરંતુ બસમાં સવાર મુસાફરોમાંથી કોઈ જાનહાનિ હોવાનું જાણવા મળ્યું નથી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp