અંબાજીથી દર્શન કરીને પરત ફરતા દંપતીની કારમાં આગ : પતિની આંખ સામે પત્નીનું મોત
માણસા: માણસા તાલુકાના હડાદ નજીક શક્તિપીઠ અંબાજીથી દર્શન કરીને પરત ફરતા દંપતીની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે પત્નીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા તાલુકાના રંગપુર ગામના ચિરાગસિંહ ચાવડા અને તેમના પત્ની પૂજાબા ચાવડા રવિવારે તેમની વેગન-આર કાર લઈને અંબાજી ખાતે માતાજીના દર્શન માટે ગયા હતા. માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતી વખતે હડાદથી બે કિલોમીટર દૂર કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
કારમાં આગ ફાટી નીકળવાની સાથે જ ચિરાગ પોતે કારમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા પરંતુ તેમના પત્ની નીકળી શક્યા ન હતા. પૂજા કારમાં ફસાઈ જતા બળીને મૃત્યુ પામ્યા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ટેન્ડરોર ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ પૂજાબાને બચાવવામાં બહુ મોડું થઇ ગયું હતું.
ચિરાગસિંહને હાથ, પગ અને મોંના ભાગે ગંભીર રીતે દાઝી જવાના કારણે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી ન હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp