માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયા કપડવંજના જવાન, પિતાને કહ્યું હતું: કોરોના જાય પછી ધામધૂમથી લગ્ન કરવા આવીશ
જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા ગુજરાતના કપડવંજના 25 વર્ષીય જવાન હરીશસિંહ પરમાર શનિવારે આતંકીઓ સામે લડતા-લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. તેઓ કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના વતની હતા. હરીશસિંહ માતૃભુમિની રક્ષા કાજે શહીદ થયા છે તેની જાણ થતા જ તેમના પરિવાર સહિત આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને ગામલોકો તેમના ઘરે ઉમટી પડ્યા હતા.
શહીદ જવાન હરીશસિંહના પિતાએ કહ્યું, શનિવારે બપોરે બારેક વાગ્યે જમ્મુથી સેનાના મેજરનો ફોન આવ્યો હતો. તેમણે હરીશસિંહ શહીદ થયા છે તેમ જણાવતા હું ભાંગી પડ્યો હતો. પણ સાથે ગૌરવ પણ થયું હતું કે મારો પુત્ર દેશ માટે લડતા-લડતા શહીદ થયો છે.
સામાન્ય ખેડૂત પરિવારમાં 25 વર્ષીય જવાન હરીશસિંહ વર્ષ 2016 માં ભારતીય સેનામાં જોડાયા હતા. કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમને સેનામાં નોકરી મળી ગઈ અને ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી સેનામાં જવાનું વિચાર્યું હતું. તેમના મિત્રો પણ કહે છે કે તેમને બાળપણથી સેનામાં જવાની ઈચ્છા હતી, તેમને દેશસેવામાં વધુ રસ હતો. એટલું જ નહીં તેઓ મિત્રોને પણ વારંવાર આર્મીમાં જોડવા કહેતા હતા.
ભારતીય સેનામાં જોડાયા બાદ તેમને આસામ સરહદે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. જ્યાં ફરજ બજાવ્યા બાદ હાલ તેઓ જમ્મુ-કાશ્મીર ખાતે દેશની સેવા કરી રહ્યા હતા. પરંતુ શનિવારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન તેઓ ઘાયલ થઇ ગયા અને ત્યારબાદ અંતિમ શ્વાસ લીધા હતા. નાનકડા ગામનો બાહોશ જવાન દેશ માટે બલિદાન થયો છે તેમ જાણતા ગામ પણ શોકમગ્ન બન્યું હતું.
પરિવારે જણાવ્યું કે તેઓ ગત મે મહિનામાં લગ્ન કરવા માટે વતન આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે ગાઈડલાઈન મુજબ સીમિત સંખ્યામાં મહેમાનોને બોલાવવા પડે તેમ હતું અને તેમની ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી. જેથી તેઓ 2 જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. તેમણે પરિવારને કહી રાખ્યું હતું કે કોરોનાની અસર ઓછી થાય પછી તેઓ વતન આવશે અને ધામધૂમથી લગ્ન કરી લેશે. પરંતુ તેમની આ ઈચ્છા પૂર્ણ ન થઇ શકી અને તે પહેલા જ દેશને કાજે શહીદી વહોરી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp