અમદાવાદ: અમદાવાદના ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં BRTS બસે એક એક્ટિવા ચાલક વ્યક્તિને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના ઘટતાની સાથે જ આસપાસથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા તેમજ પરિજનોને જાણ થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૪૫ વર્ષીય મૃતક જલુભાઈ દેસાઈ છાપાં વિતરણ કરવાનું કામ કરતા હતા. દૈનિક કર્મ મુજબ આજે પણ તેઓ છાપાં વહેંચીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. BRTS બસ ડેપોમાંથી બહાર નીકળીને રોંગ સાઈડ ઉપર આવી રહી હતી ત્યારે એક્ટિવાને અડફેટે લેતા જલુભાઈ ૧૦ ફૂટ ઉંચે ઉછળીને પટકાતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
અકસ્માત બાદ લોકોએ એકઠા થઇ હોબાળો મચાવતા બસચાલક ગભરાઈને બસની ઉપર ચડી ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ચાલક સામે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યા અનુસાર, BRTS બસ સ્ટેશન નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જાણવા મળ્યું છે કે એક્ટિવાચાલક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તેમણે બસ આવતી જોઈ ન હતી અને ટક્કર વાગતા મોત નીપજ્યું હતું.
મૃતક જલુભાઈ પરિવારમાં ત્રણ સંતાનો છે અને પરિવારે મુખ્ય સભ્ય જ ગુમાવતા પરિજનો ઘટનાસ્થળે આવીને રસ્તાની વચ્ચે બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસ આમ તો નાગરિકોના પરિવહનની સરળતા માટે છે પરંતુ ભૂતકાળમાં પણ અનેક વખત BRTS બસ દ્વારા અકસ્માત થયાની ઘટના ઘટી ચુકી છે. કેટલાક અકસ્માતોમાં લોકોને નાની-મોટી ઈજા થઇ છે તો આવા ગંભીર અકસ્માતોમાં ક્યારેક માણસોના જીવ પણ ગયા છે!