નવા રસ્તાનું ઉદ્ઘાટન કરવા ગયેલા ધારાસભ્યે નારિયેળ પછાડ્યું તો નારિયેળની જગ્યાએ રસ્તો જ તૂટી ગયો!
યુપી: ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક રસ્તાના ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન કંઇક એવી ઘટના બની હતી કે જેના કારણે દેશભરમાં તે ચર્ચાનો વિષય બની હતી. અહીં એક ભાજપ ધારાસભ્યે રસ્તાના ઉદ્ઘાટન માટે નારિયેળ ફોડવા પ્રયત્ન કર્યા તો નારિયેળ તો ન ફૂટ્યું પરંતુ રસ્તો જ તૂટી ગયો હતો.
આ ઘટના યુપીના બિજનોરની છે. અહીં એક સિંચાઈ વિભાગ દ્વારા નહેરની બાજુમાં એક કરોડ 16 લાખના ખર્ચે સાત કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવનાર છે. જોકે, સાત કિલોમીટરના સ્થાને હજુ સુધી માત્ર 700 મીટર રસ્તો જ બની શક્યો છે પરંતુ તેમ છતાં વિભાગે તૈયાર રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે સ્થાનિક ધારાસભ્ય સૂચી મોસમ ચૌધરીને બોલાવ્યા હતા.
2 ડિસેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યે ધારાસભ્ય નવા રસ્તાના ઉદ્ઘાટન પસંગે પહોંચ્યા હતા. જ્યાં પૂજા વિધિ કરવામાં આવ્યા બાદ તેમને નારિયેળ આપવામાં આવ્યું હતું. પરંતુ ધારાસભ્યે જેવું નારિયેળ ફોડવા માટે રસ્તા પર પછાડ્યું તો નારિયેળની જગ્યાએ રસ્તો જ તૂટી ગયો હતો અને રસ્તા પર પાથરેલી કપચી અને રેતી વિખેરાઈ ગઈ હતી.
આ ઘટના બાદ નારાજ થયેલા ધારાસભ્યે તાત્કાલિક કાર્યક્રમ રદ કરી દીધો અને રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ સાથે ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ ડીએમને એક ટીમ બનાવીને રસ્તાની તપાસ કરાવવાના આદેશ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્યે કહ્યું કે, આનાથી અમારી સરકારની છબી ખરડાઈ રહી છે અને તપાસ બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, માર્ગ અને સિંચાઈ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને હાલ તપાસ કરાવવામાં આવી રહી છે, જે માટે રસ્તાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવશે. જો કંઈ પણ ગડબડ હોવાનું જાણવા મળે તો કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp