રિપોર્ટ્સ અનુસાર, સાયરા બાનોને ત્રણ દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરની સમસ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો ન આવવાથી હવે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, તેમની તબિયત સ્થિર છે પરંતુ બ્લડ પ્રેશર નોર્મલ થઇ રહ્યું નથી. તેમજ ઓક્સિજન લેવલ ઓછું રહેવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હાલ ડોકટરો જરૂરી તમામ ટેસ્ટ કરી રહ્યા છે અને હજુ થોડા દિવસો તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાયરા બાનોએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1961 માં ફિલ્મ જંગલીથી કરી હતી. આ પછી તેમણે પડોસન, પુરબ ઔર પશ્ચિમ, જમીર જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સાયરા બાનોએ માત્ર આઠ વર્ષની વયે દિલીપ કુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. તેમની ઉંમર દિલીપકુમાર કરતા 22 વર્ષ ઓછી છે.
સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો હતો. તેમની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તેમજ તેમના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુની ઉંમર બહુ નાની હતી ત્યારે જ તેમના માતા અને પિતા અલગ થઇ ગયા હતા. તેમનું બાળપણ લંડનમાં વીત્યું હતું.
તેમના પતિ દિલીપકુમારનું નિધન ગત 7 જુલાઈના રોજ મુંબઈમાં થયું હતું. લાંબા સમય સુધી બીમાર રહ્યા બાદ તેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.