સુરતની બે બહેનો સાથેના દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર, આવતીકાલે સજાનું એલાન
ગુજરાતની ગાંધીનગર સેશન કોર્ટે સોમવારે (30 જાન્યુઆરી) એક મહિલા અનુયાયી પર બળાત્કારના કેસમાં આસારામ બાપુને દોષિત જાહેર કર્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે 2013માં સુરતની બે બહેનો પર બળાત્કારના કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ આરોપી હતો.
આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ - ધ્રુવીબેન, નિર્મલા, જસ્સી અને મીરાને પણ આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. આ તમામને ગાંધીનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. આસારામને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે. 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે નારાયણ સાંઈએ 2002 થી 2005 વચ્ચે વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો.
યુવતીના કહેવા મુજબ સુરતમાં આસારામના આશ્રમમાં રહેતી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. બીજી તરફ મોટી બહેને ફરિયાદમાં આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે અમદાવાદના આશ્રમમાં આસારામે તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. બંને બહેનોએ પિતા-પુત્ર વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે.
આસારામ બાપુ હાલ જોધપુરની જેલમાં બંધ છે. 2018 માં, જોધપુરની અદાલતે તેને એક અલગ જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. તેને 2013માં જોધપુરના આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
જેલમાં બંધ આસારામ બાપુએ તાજેતરમાં જ કોર્ટમાં જામીન માંગ્યા હતા. જામીન અરજીમાં આસારામે કહ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી જેલમાં છે. તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ અને જામીનનો આદેશ જારી કરવો જોઈએ જેથી કરીને તેને યોગ્ય સારવાર મળી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp