નોર્થ કોરિયામાં આગલા દસ દિવસ સુધી કોઈ હસતું જોવા મળ્યું તો તે તેનો આખરી દિવસ હશે!
ખુશી મનાવવા માટેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી, કે દુનિયાના કોઈ દેશમાં કરિયાણું લેવા કે દારૂ પીવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો નથી. તમને મન થાય ત્યારે તે કરી શકો છો. આવું ભારત કે અન્ય કોઈ લોકતાંત્રિક દેશમાં શક્ય છે, પરંતુ નોર્થ કોરિયામાં આવી ‘હરકત’ નાગરિકોને જેલમાં ધકેલી શકે છે કે મૃત્યુ દંડ પણ અપાવી શકે છે!
પોતાના વિચિત્ર ફરમાનો અને અજીબોગરીબ કાયદાઓ બનાવવા માટે જાણીતા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને હવે નવું ફરમાન બહાર પાડ્યું છે. જેમાં દસ દિવસ સુધી દેશમાં હસવા કે ખુશી વ્યક્ત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, દારૂ પીવા પર અને કરિયાણું ખરીદવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દર વખતની જેમ, આ નિયમના ઉલ્લંઘન પર પણ સીધી મોતની સજા થશે.
નોર્થ કોરિયાના પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઈલની દસમી પૂણ્યતિથી નિમિત્તે આ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. આગામી 11 દિવસ સુધી નોર્થ કોરિયા શોક પાળશે. દરમ્યાન કોઈ પણ વ્યક્તિ હસતો જોવા મળે કે દારૂ પીતો જોવા મળે તો તે દિવસ તેની જિંદગીનો આખરી દિવસ હશે. જોકે, આ દસ દિવસ માટે પળાતો શોક નોર્થ કોરિયા માટે નવી વાત નથી, આ દર વર્ષે થાય છે.
નોર્થ કોરિયાના પૂર્વ શાસક કિમ જોંગ ઈલનું અવસાન 2011 માં હાર્ટ અટેકના કારણે થયું હતું. તેમણે વર્ષ 1994 થી 2011 સુધી દેશ પર શાસન કર્યું હતું. તેમના અવસાન બાદ તેમના સૌથી નાના પુત્ર કિમ જોંગ ઉને દેશની કમાન સંભાળી હતી. આ વિચિત્ર ફરમાન બહાર પાડવાનું કારનામું કિમ જોંગ ઉનનું જ છે. જોકે, ઉન માટે હવે આવા ફરમાનો બહાર પાડવા એક સામાન્ય વાત બની ચૂકી છે.
કિમ જોંગ ઈલનું અવસાન 17 ડિસેમ્બરે થયું હતું. એટલે લોકોને કડક આદેશ અપાયો છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ બજારમાંથી સમાન ખરીદી શકશે નહીં, કોઈ પણ સારી વાનગીઓ નહીં બનાવી શકે કે દારૂ નહીં પી શકે. જો તેઓ નિયમ તોડતા જણાય તો ધરપકડ કરવામાં આવશે અને એક ગુનેગાર તરીકે તેમની સાથે વ્યવહાર કરવામાં આવશે.
એક મીડિયાના અહેવાલમાં નોર્થ કોરિયન નાગરિકને ટાંકીને કહેવામાં આવ્યું કે, ભૂતકાળમાં પણ આ સમયગાળા દરમિયાન જેઓ દારૂ પીતા પકડાયા કે ખુશ દેખાતા જણાયા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને તેમની સાથે ગુનેગારો જેવો જ વ્યવહાર થયો. તેમને ક્યાંક દૂર લઇ જવાયા, ત્યારથી ફરી ક્યારેય દેખાયા નથી!’
આ નિયમ માત્ર ખુશ રહેવા કે દારૂ પીવા પર પ્રતિબંધ નથી મૂકતો પરંતુ જો કોઈનું મૃત્યુ થાય તો બહુ જોરથી રડી પણ શકાશે નહીં કે અંતિમ સંસ્કાર કરવા પણ 11 દિવસનો સમય પૂરો થાય તેની રાહ જોવી પડશે. તેમજ જો આ સમય દરમિયાન કોઈનો જન્મદિવસ આવતો હોય તો તેની ઉજવણી કરવાનું પણ સ્વભાવિક રીતે ભૂલી જવું પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp