નવી દિલ્હી: કોરોનાની રસી ‘કૉવેક્સિન’ બનાવતી કંપની ભારત બાયોટેકે રસીનું ત્રીજું અને અંતિમ તબક્કાનું પરીક્ષણ પૂર્ણ થઇ ગયું છે. કંપનીએ આ ત્રીજા તબક્કાના પરીક્ષણનું પરિણામ અધિકારીક રીતે જારી કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કૉવેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ ઉપર પણ અસર કરે છે.
ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના પરિણામના આધારે જણાવ્યું કે કોરોના વિરુદ્ધ કૉવેક્સિન ઓવરઓલ ૭૭.૮ ટકા જેટલી અસરકારક છે. જયારે દુનિયાભરમાં આતંક મચાવનાર કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ આ રસી ૬૫.૨ ટકા જેટલી અસરકારક છે. જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કૉવેક્સિન ૯૩.૪ ટકા જેટલી અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. જયારે લક્ષણો ન ધરાવતા દર્દીઓ ઉપર આ રસી ૬૩.૬ ટકા જેટલી કારગર સાબિત થઇ છે.
કૉવેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણથી બહાર આવ્યું છે કે તેની ઓવરઓલ એફિકસી ૭૭.૮ ટકા જેટલી છે. જ્યારે કોરોનાના ગંભીર સંક્રમણ ઉપર તેની અસરકારકતા ૯૩.૪ ટકા જેટલી છે. કૉવેક્સિન ૬૦ વર્ષથી ઉપરના લોકો ઉપર ૬૭.૮ ટકા અને ૬૦ વર્ષથી પછી ઉંમરના લોકો પર ૭૯.૪ ટકા અસરકારક છે. જોકે, ત્રીજા તબક્કાના પરીક્ષણ દરમિયાન લગભગ ૯૯ સ્વયંસેવકો ઉપર સાઈડ ઈફેક્ટસ પણ દેખાઈ હતી.
ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ૨૪,૪૧૯ સ્વયંસેવકો સામેલ થયા હતા. જેમાંથી ૧૨,૨૨૧ લોકોને રસી આપવામાં આવી હતી જ્યારે ૧૨,૧૯૮ લોકોને પ્લેસીબો અપાઈ હતી. ત્યારબાદ ૧૬,૯૭૩ લોકોને બે ડોઝ લગાવ્યાના બે અઠવાડિયા સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાંથી બહાર આવ્યું કે તેમાંથી ૧૩૦ સ્વયંસેવકો સંક્રમિત થયા, જેમાંથી ૨૪ લોકોને સાચી વેક્સિન અપાઈ હતી. જે અનુસાર, તેની અસરકારતા ૭૭.૮ ટકા હોવાનું સામે આવ્યું.
કુલ સ્વયંસેવકોમાંથી ૧૬ લોકો ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી માત્ર એક જ વ્યક્તિને કોરોનાની સાચી રસી અપાઈ હતી. એટલે કે બાકીના તમામને પ્લેસિબો અપાઈ હતી. જેથી ત્રીજા તબક્કાના પરિણામ અનુસાર, આ રસી કોરોનાના ગંભીર સંક્રમણ સામે ૯૩.૪ ટકા જેટલી અસરકારક હોવાનું માલૂમ પડ્યું.