ભરતસિંહ સોલંકીની નોટીસનો પત્ની રેશ્માબેન પટેલે આપ્યો જવાબ, કર્યા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) પત્નીને જાહેર નોટીસ પાઠવ્યા બાદ આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે ભરતસિંહના પત્ની રેશમાબેન પટેલે (Reshmaben Patel) આ અંગે ખુલાસો આપ્યો છે. જેમાં તેમણે અનેક ચોંકાવનારી વિગતો આપી છે.
રેશ્મા પટેલે તેમના વકીલ નિખિલ જોશી મારફતે આ નોટીસનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ભરતસિંહ કોરોનાથી બીમાર હતા ત્યારે તેમની સેવા-ચાકરી કરી તેમણે નવજીવન આપ્યું હતું. પરંતુ સાજા થયા બાદ તેમનું વર્તન બદલાઈ ગયું છે તેમ તેમણે જણાવ્યું હતું. રેશ્મા પટેલે ભરતસિંહ ઉપર ગાળાગાળી કરવાનો અને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવાનો આરોપ પણ લગાવ્યો છે.
ઉપરાંત, તેમણે ભરતસિંહ રાજકારણના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને તેઓ રેશ્મા પટેલને માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
રેશ્મા પટેલના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે, તેમના અસીલ ઉપર દબાણ લાવવા માટે જ જાહેર નોટીસ ફટકારી હોવાનું પણ જવાબમાં કહેવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
શું છે મામલો?
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ બે દિવસ પહેલા વર્તમાનપત્રોમાં તેમના પત્ની રેશ્માબેન પટેલને જાહેર નોટિસ પાઠવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિએ તેમના નામે પત્ની સાથે નાણાકીય લેવડદેવડ કરવી નહીં. તેમજ પત્નીને પણ તેમના નામનો ઉપયોગ કરી આવા નાણાકીય વ્યવહારો ન કરવા માટે કહ્યું હતું.
ભરતસિંહે તેમના પત્ની તેમને તકલીફ પહોંચે તેવું કરવાના હોય તેવો તેમને ભય છે તેમ કહેતા જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન કરવાના પ્રયાસો પણ કર્યા, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. કુટુંબના સભ્યોની મધ્યસ્થી છતાં કોઈ પરિણામ દેખાયું નથી. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp