વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક, અંતિમ ક્ષણે કાર્યક્રમ રદ કરવો પડ્યો
નેશનલ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોજપુરમાં એક સભા સંબોધવાના હતા. પરંતુ અંતિમ ક્ષણે કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. પહેલા આ પાછળનું કારણ વરસાદ અને ખરાબ હવામાન માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સુરક્ષા કારણોસર વડાપ્રધાનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ મંત્રાલયે પણ આ મામલે બયાન જારી કર્યું છે.
ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, વડાપ્રધાન સવારે ભટીંડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર માર્ગે હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે જવાના હતા. પરંતુ વરસાદ અને ખરાબ મોસમનાં કારણે તેમણે લગભગ વીસ મિનીટ સુધી રાહ જોવી પડી. ત્યારબાદ પીએમને સડકમાર્ગે લઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં બે કલાકનો સમય લાગવાનો હતો. જે મામલે પંજાબના ડીજીપીને જાણ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
આગળ કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રીય શહીદ સ્મારકથી 30 કિલોમીટર દૂર પીએમનો કાફલો હતો ત્યારે એક ફ્લાયઓવર પાસે તેમનો કાફલો ફસાઈ ગયો હતો. ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ રસ્તો રોકીને બેઠા હતા. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ વડાપ્રધાનની સુરક્ષામાં એ મોટી ચૂક હતી.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાનનાં કાર્યક્રમ અને યાત્રાની યોજના અંગે પહેલેથી જ પંજાબ રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી અને પ્રોટોકોલ અનુસાર, તેમણે અન્ય આકસ્મિક યોજના તૈયાર રાખવાની હતી અને જમીન માર્ગે વધુ સુરક્ષા તહેનાત કરવાની હતી. આ સુરક્ષા ચૂક બાદ વડાપ્રધાન ત્યાંથી જ પરત ફરી ગયા હતા.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ગૃહ મંત્રાલયે ગંભીરતાથી નોંધ લીધી છે અને આ મામલે પંજાબ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમજ સરકારને આ મામલે કડક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp