Azadi ka Amrit Mahotsav Iconic Event : નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીએ સુરતનું આ ગામ છવાયું, ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ
ગુજરાત ડેસ્ક : આઝાદીના 75 વર્ષ-અમૃત મહોત્સવ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે સુરત જીલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે 19 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ આઈકોનિક ઇવેન્ટ યોજાનાર છે ત્યારે હરીપુરા ગામ સાથે સુભાષ બાબુની અનેક યાદો જોડાયેલી છે.
હરીપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે, અહી સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજીની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. વર્ષ 1938માં હરીપુરા ગામના અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરની કરાઈ હતી. જેથી આ વર્ષ ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે. અધ્યક્ષ બનવાના સમયે તેઓ હરીપુરા ગામના એક મકાનમાં રહી અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશથી ઉખાડી શકાય તેની તમામ રણનીતિઓ તૈયાર કરી હતી.
હરીપુરા ગામના સરપંચ શ્રીમતી આશાબેન ચૌધરીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરતમાં આઝાદીની રાષ્ટ્રીય લડતનું કેન્દ્ર હરીપુરા ગામ હતું. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણી હરીપુરા થવાની છે, એ જાણીને ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ છે. કારણ કે સૌના લાડલા અને આઝાદીમાં મોટું યોગદાન આપનારા સુભાષચંદ્ર બોઝ હરીપુરા ગામના મહેમાન બન્યા હતા. ગ્રામજનોના ઉત્સાહપૂર્ણ સહયોગથી નિયમિતપણે, આઝાદી દિન, ગણતંત્ર દિન, મહિલા દિવસ, માતૃભાષા દિવસ, સુભાષચંદ્ર બોઝ જયંતી, શિક્ષક દિન જેવા વિવિધ ખાસ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. 19 જાન્યુઆરીના દિવસે સુભાષચંદ્ર બોઝ જયંતીના ભાગરૂપે વિવિધ પ્રોગ્રામ, રેલી, યાત્રાનું ભવ્ય આયોજન હરીપુરા ગામે કરવામાં આવી રહ્યું છે, ત્યારે પણ અમે સૌ ભેગા મળી ઇતિહાસનું પુનરાવર્તન કરશું અને રેલી, યાત્રા તથા પ્રોગ્રામના આવનાર તમામ મહાનુભવો તેમજ પ્રજાજનોનું ભવ્ય સ્વાગત કરીશું એમ તેમને જણાવ્યું હતું.
વધુમાં તેમને જણાવ્યું હતું કે ગામમાં જે મકાનમાં સુભાષબાબુએ અઠવાડિયું રોકાણ કર્યું હતું અને ત્યારે જે સામગ્રી મકાનમાં હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાવત છે, ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એજ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ જેમનું તેમ છે. જેની સાફસફાઈની સંપૂર્ણ જવાબદારી ગામજનો દ્વારા કરવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શક્યા નથી. આજે પણ તેમના જવા પછી મકાન ખાલી છે. ગામના કોઈ પણ લોકો આ મકાનમાં રહેતા નથી. સુભાષબાબુની હરીપુરા સાથે જોડાયેલી તમામ યાદોને જીવંત રાખીશું એમ તેઓ જણાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp