કેન્દ્રીય મંત્રીએ કહ્યું: માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવીશું, નેતાઓના દિલ્હીમાં ધામા
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડી સરકાર બની ત્યારથી જ અવારનવાર સરકાર ભંગ થવા અંગેની અટકળો ચાલતી રહે છે. હવે આ ભૂત ફરી ધુણ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ કેન્દ્રીય મંત્રીએ દાવો કરતા કહ્યું કે, માર્ચ સુધીમાં ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લેશે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જયપુરમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની સરકાર બનાવશે. તેમણે કહ્યું કે જે હોય તે બધું જ ઠીક થઇ જશે. રાણેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
તેમણે કહ્યું, ‘ભાજપની સરકાર માર્ચમાં બની જશે અને તમને અપેક્ષિત બદલાવ મહારાષ્ટ્રમાં જોવા મળશે. તેમણે કહ્યું કે, સરકાર બનાવવા કે સરકાર ભંગ કરવા માટે કેટલીક બાબતો ગુપ્ત રાખવી પડે છે.’
બીજી તરફ, એનસીપી પ્રમુખ શરદ પવાર પણ આજે બપોરે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચી રહ્યા છે. શરદ પવાર પણ પ્રફુલ પટેલ સાથે દિલ્હી જવા રવાના થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ આજે સવારે દિલ્હી પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર ભાજપના અનેક નેતાઓ આવતીકાલે દિલ્હીમાં હાજર છે. ગઈકાલે રાત્રે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, જ્યાં દેવેન્દ્ર ફડણવીસ પણ બેઠકમાં હાજરી આપવાના હતા પરંતુ તેમને દિલ્હી પહોંચવામાં મોડું થયું.
ચંદ્રકાંત દાદા પાટીલ અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપ મુખ્ય મથક ખાતે સંગઠન મંત્રી બીએલ સંતોષને મળ્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતાને મળ્યા છે. જોકે, આ અંગે અધિકારીક જાણકારી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp