આજે પીએમ મોદીનો જન્મદિન : રેકોર્ડ રસીકરણનું લક્ષ્ય, ભાજપ સેવા-સમપર્ણ અભિયાન શરૂ કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે ૭૧ વર્ષના થયા છે. પીએમ મોદીના ૭૧મા જન્મદિવસે દેશભરમાં અનેક મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ ભાજપ દ્વારા આગામી દિવસોમાં ચલાવવામાં આવી રહેલ સેવા-સમર્પણ અભિયાનનો પણ આજથી શુભારંભ થઇ રહ્યો છે. આજે પીએમના જન્મદિને મેગા વેક્સિનેશન અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આજે પીએમના જન્મદિવસ પ્રસંગે સૌથી મોટો કાર્યક્રમ કોરોના રસીકરણનો છે. આજે દેશભરમાં 1.5 કરોડ રસીના ડોઝ લગાવવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત ભાજપ આજથી સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ અભિયાનનો પ્રારંભ સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપના મુખ્યમથકથી કરશે. મેગા રસીકરણના આ કાર્યક્રમમાં ભાજપના સ્વયંસેવકોની ફૌજ લાગશે અને આ લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરશે.
આ સાથે પીએમ મોદીને મળેલી ભેટોની પણ આજે હરાજી થશે. આ રકમનો ઉપયોગ ‘નમામી ગંગે’ પ્રોજેક્ટમાં થાય છે. ભાજપ સાથે જોડાયેલા અન્ય સંગઠનો પણ આજથી ઘણા કાર્યક્રમો શરૂ કરી રહ્યા છે.
પીએમ મોદીના જન્મદિવસ માટે ભાજપે દેશભરમાં 20 દિવસના અભિયાનની યોજના બનાવી છે જેને 'સેવા અને સમર્પણ અભિયાન' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી ચાલશે. ૭ ઓક્ટોબરના રોજ પીએમ મોદીના રાજનીતિક જીવનના ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૦૧ માં ૭ ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ એમ ત્રણેય ચૂંટણીઓમાં જીત મેળવી ગુજરાતના સીએમ રહ્યા હતા.
આ અભિયાન માટે ભાજપે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે, જેથી પ્રચાર દરમિયાન પક્ષના કાર્યકરો માટે કાર્યક્રમોનું આયોજન કરી શકાય. આ સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય કરે છે. ભાજપના સાંસદ વિજય ગોયલ સવારે 11 કલાકે ITO થી લાલ કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢીને PM નો જન્મદિવસ ઉજવશે.
(ફાઈલ તસવીર)
પીએમના જન્મદિવસની પૂર્વસંધ્યાએથી જ સમર્થકો અને ચાહકોએ ઉજવણીની શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ આજે સવારથી વડાપ્રધાનને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ સહિત વિપક્ષના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
પીએમના જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિશેષ ગંગા આરતી કરવામાં આવી હતી. ગંગાના તટ પર પણ દીવડા પ્રગટાવીને મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. સાથે ૭૧ કિલોની લાડુની કેક પણ કાપવામાં આવી હતી. આજે વારાણસીમાં અન્ય કેટલાક કાર્યક્રમો પણ થશે. જેમાં ગંગાની સફાઈનું સૌથી મોટું અભિયાન પણ સામેલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp