નેપાળમાં મોટી દુર્ઘટના: બસ અકસ્માતમાં 28 લોકોના મોત, અનેક ઘાયલ
નેપાળ: પડોશી રાષ્ટ્ર નેપાળમાં ગઈકાલે બનેલી એક દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ લોકો બસમાં સવાર થઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન મુગુ જિલ્લામાં બસ રસ્તા પરથી નીચે ઉતરી જઈ ખીણમાં ખાબકી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, બસના આગળના ટાયરમાં પંચર પડવાના કારણે બસ સંતુલન ગુમાવીને રસ્તા પરથી નીચે ઉતરી જઈને ખીણમાં પડી હતી. સ્થાનિક સમય અનુસાર, મંગળવારે બપોરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી. જ્યાં ઘટના બની તે વિસ્તાર ઊંચાઈવાળો છે અને અહીં રસ્તા પણ ખરાબ હોવાનું કહેવાય છે.
બસમાં લગભગ 45 લોકો સવાર હતા અને બસ સુર્ખેત જિલ્લાથી મુગુ તરફ જઈ રહી હતી. મુગુ નેપાળમાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલ એક જિલ્લો છે. મોટાભાગના લોકો દ્શૈનના તહેવારની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. દ્શૈન અથવા દૂર્ગાપૂજાનો તહેવાર ભારત અને નેપાળમાં હિંદુઓ દ્વારા ઉજવવામાં આવે છે. નેપાળમાં ખાસ કરીને બે અઠવાડિયા સુધી આ તહેવાર ઉજવાય છે.
અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે પહોંચીને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું અને ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં 28 લોકો માર્યા ગયા છે, જયારે 12 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
નેપાળમાં ખરાબ રસ્તા અને વાહનોની નીચી ગુણવત્તાના કારણે આવા અકસ્માતો છાશવારે બનતા રહે છે. સરકારના ડેટા અનુસાર, વર્ષ 2019 માં નેપાળમાં 13 હજાર માર્ગ અકસ્માતોમાં 2,500 લોકો મૃત્યુ પામ્યા હતા!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp