વધુ એક સરકાર બદલાશે : પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિન્દરસિંહનું રાજીનામું!
ગુજરાત બાદ હવે પંજાબમાં પણ મોટી રાજકીય ઉથલપાથલ થઇ ગઈ છે. લાંબા ગજગ્રાહથી કંટાળીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી બનેમાંથી રાજીનામું આપી દીધું છે. મળેલી માહિતી અનુસાર, અમરિંદર સિંહ તેમના સમર્થક ધારાસભ્યો સાથેની બેઠકમાં આ બાબત અંગે જાહેરાત આપી છે. આજે સાંજે ૫ વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ધારાસભ્યો નવા નેતાની પસંદગી કરશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જે દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ અપમાનિત થઈને પાર્ટીમાં રહી શકે તેમ નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલ ઝઘડાને કારણે આજે કેપ્ટને રાજીનામુ આપ્યું હોવાનું કહેવાય છે. હાલમાં રાહુલ ગાંધીએ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આગેવાની લીધી છે. જેના પગલે કેપ્ટન દ્વારા રાજીનામા અંગેની સૂચના મળી છે. તેમના પુત્ર રાનીન્દર સિંહે પણ આજે ટ્વિટ કર્યું હતું કે, "પિતા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે." અમરિંદર સિંહના પ્રેસ સેક્રેટરીએ ટ્વિટ કર્યું છે કે, "જો કોઈ તમને છેતરપિંડી કરીને આશ્ચર્યચકિત કરે તો તમારે પણ યોગ્ય જવાબ સાથે તેમણે આશ્ચર્યચકિત કરવાનો અધિકાર છે."
કેપ્ટનના રાજીનામાં બાદ કોંગ્રેસ સામે સૌથી મોટો પ્રશ્ન પંજાબમાં નવા મુખ્યમંત્રીની વરણી કરવાનો છે. હાલમાં ચાલતી ચર્ચા મુજબ અમરિંદર સિંહના સ્થાને પંજાબ કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ સુનીલ જાખરને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવી શકે છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોતસિંહ સિધ્ધુનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં આગળ છે. જો કે સિદ્ધુના નામ સામે કોન્ગ્રેસ્માંથી જ વિરોધ થાય એમ છે. કોંગ્રેસના કહેવા મુજબ ‘નોન-પરફોર્મન્સ’ના કારણે કેપ્ટનને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે કેપ્ટન અમરિન્દરે સામેથી સોનિયા ગાંધીને ફોન કરીને પોતે રાજીનામું આપ્યું હોવાની વાત મીડિયાને કહી છે.
કેપ્ટન સાહેબ અને નવજોત સિધ્ધુ વચ્ચેનો ગજગ્રાહ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. થોડા સમયથી બન્ને નેતાઓ વચ્ચે ટ્વિટટર યુદ્ધ ફાટી નીકળ્યું હતું. કેપ્ટનના રાજીનામાં બાદ સિદ્ધુનું નામ પણ મુખ્યમંત્રી તરીકે બોલાઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન કેપ્ટન અમરિન્દરે કહ્યું હતું કે સિધ્ધુ એક મંત્રાલય પણ સરખું સંભાળી નહોતા શક્યા, તો આખી સરકાર કઈ રીતે સંભાળશે? કેપ્ટને નિવેદન આપ્યું હતું કે સિધ્ધુ એક મોટી મુસીબત છે!
સૂત્રોના કહેવા મુજબ કેપ્ટન મુખ્યમંત્રી પદની સાથે જ કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. હવે પછી કેપ્ટન આમ આદમી પાર્ટીમાં જોડાશે કે ભારતીય જનતા પક્ષમાં, એ વિષે અટકળો ચાલી રહી છે. જો કે પંજાબમાં કિસાન આંદોલનનો પ્રભાવ જોતા કેપ્ટન ભાજપમાં જોડાય એની શક્યતા ધૂંધળી છે. એ સંજોગોમાં પંજાબમાં કાઠું કાઢવા મથી રહેલી ‘આપ’માં તેઓ જોડાશે કે કેમ, એ ચર્ચાનો વિષય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp