નવરાત્રિમાં માતાજીનું અપમાન કરતા ગીતને લઈને વિવાદ, ગાયકોએ માફી માગવી પડી
મુંબઈ: પવિત્ર નવરાત્રિના તહેવાર દરમિયાન બોલિવુડ સિંગર રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના નવા આલ્બમમાં હિંદુ ધર્મના અપમાનને લઈને વિવાદ વકર્યો છે. ‘ગરબે કી રાત’ નામના આ ગીતને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિડીયો હટાવવા માટેની માગ કરવામાં આવી રહી છે. રાજભા ગઢવી અને કીર્તીદાન ગઢવી સહિતના ગાયકોએ પણ અવાજ ઉઠાવ્યો છે.
મોગલ માતાજી અને મેલડી માતાજીના ગીતમાં આવતા નામ દરમિયાન અશોભનીય દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ગીતની કોરિયોગ્રાફી અંગે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે અને ગીત દરમિયાન ડાન્સર અશ્લીલ ડાન્સ કરતી જોવા મળે છે, જેની ઉપર વિરોધ થઇ રહ્યો છે.
ધાર્મિક લાગણી દુભાતા લોકો તેમજ ગાયકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ મામલે ગીત બનાવનારાઓએ કહ્યું છે કે તેઓ ગીત હટાવી લેશે.
ગાયક રાજભા ગઢવીએ આ અંગે કહ્યું હતું કે માતાજીના નામે આવી અશ્લીલતા ચલાવી લેવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે ગીત ઉતારી લેવામાં આવે. તેમણે કહ્યું કે આ ગીત ઉતારી લેવામાં આવવું જોઈએ નહીં તો પરિણામ સારું નહીં આવે. અમે જે કહીએ એ કરીએ પણ છીએ. તેમને તેમના ચાહકો દ્વારા ગીત મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા થકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
રાજભા ગઢવી ઉપરાંત ગુજરાતના વધુ એક લોકપ્રિય ગાયક કીર્તીદાન ગઢવી દ્વારા પણ આ ગીતને લઈને વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હાલ માતાજીના ગરબા ચાલી રહ્યા છે, ત્યારે આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે ગીત રજૂ કરવામાં આવ્યું છેમ જે ખૂબ અશ્લીલ છે તેમજ તેનું ચિત્રણ પણ અશ્લીલ છે. જેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડી રહી છે. ગરબામાં ડાન્સ અને કપડા પહેરવામાં આવ્યા છે, જે અશ્લીલ છે અને આવા દ્રશ્યોને તાત્કાલિક હટાવી લેવામાં આવે તે ગઢવી સમાજ, ચારણ સમાજ અને ક્ષત્રિય સમાજની માગ છે.
આ વિવાદ બાદ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું કે, મોગલ માતાના નામે લઈને અજાણતા ભૂલ થઇ છે અને કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો અને જેની લાગણી દુભાઈ હોય તેમની માફી માગું છું. તેણે કહ્યું કે માતાજીની ભક્તિને ધ્યાનમાં લઈને ગીત બનાવ્યું હતું પરંતુ મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દોને હટાવી લેવામાં આવશે. જોકે તેણે કહ્યું હતું કે શનિ અને રવિની રજા પર છે પરંતુ ફેરફાર કરવા માટે સૂચન આપ્યા છે. મને ત્રણ દિવસનો સમય આપો, ત્યાં સુધી સંયમ રાખશો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp