નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર ધીમી પડવાના સંકેતો વચ્ચે ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસની(Corona Updates) સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજાર નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 19 દિવસોમાં સૌથી વધુ છે. મહત્વની વાત એ છે કે રાજ્ય કેરળમાં જ 50 ટકા કેસ નોંધાયા છે.
કેરળમાં (Kerala) હાલ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. કારણ કે દેશના કુલ કોરોના કેસમાંથી 50 ટકા કેસ માત્ર કેરળમાંથી જ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22,129 કેસ નોંધાયા છે. કેરળમાં દૈનિક સરેરાશ 16 હજાર કેસ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,654 નવા કેસ નોંધાયા છે. 41,678 લોકો કોરોનાથી સાજા થયા છે અને છેલ્લા 24 કલાકમાં 640 મૃત્યુ નોંધાયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસ 3,99,436 જેટલા છે જ્યારે અત્યાર સુધીમાં 3,06,63,147 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 44,61,56,459 લોકોને કોરોનાની રસી અપાઈ ચુકી હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં ગઈકાલે 6 હજાર કેસ
કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ પ્રમાણમાં વધુ છે. મંગળવારે કોરોનાના 6,258 નવા કેસ આવ્યા હતા. જેની સાથે કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 62,76,057 ઉપર પહોંચી છે. ઉપરાંત તમિલનાડુમાં કોરોનાના 1,767 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં માત્ર 30 નવા કેસ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં ગઈકાલે કોરોનાના માત્ર 30 નવા કેસ નોંધાયા હતા, જે રાહતની વાત છે. જ્યારે 57 લોકો કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા હાલ 285 છે.
રાજ્યમાં ગઈકાલે 24 જિલ્લાઓમાં એકેય કેસ નોંધાયો ન હતો. જ્યારે સુરતમાં 11, અમદાવાદ અને વડોદરામાં 4-4 અને રાજકોટમાં માત્ર 2 કેસ નોંધાયા હતા.