આર્યન ખાને હજુ 6 દિવસ જેલમાં રહેવું પડશે : કોર્ટે 20મી સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો
મુંબઈ: ડ્રગ્સ કેસમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હજુ લગભગ એક અઠવાડિયું જેલમાં જ રહેવું પડશે. આજે આર્યનની જામીન અરજી પર સુનાવણી ફરી હાથ ધરવામાં આવી હતી પરંતુ બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ આગામી 20 ઓક્ટોબરે આ મામલે નિર્ણય સંભળાવશે.
શુક્રવારે મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધા બાદ સોમવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ એનસીબીએ જવાબ રજૂ કરવા માટે બે દિવસ માગ્યા બાદ કોર્ટે બુધવારે સુનાવણીની તારીખ નક્કી કરી હતી. ત્યારબાદ ગઈકાલે એનસીબીએ જવાબ રજૂ કર્યા બાદ બંને પક્ષે દલીલો ચાલી હતી. જે સમયની અછત હોવાથી કોર્ટે આજે પણ સુનાવણી ચાલુ રાખી હતી.
આજે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને કહ્યું છે કે 20 ઓક્ટોબરે આર્યનને જામીન મળશે કે નહીં તે અંગે નિર્ણય સંભળાવવામાં આવશે. કોર્ટ આવતીકાલ 15 ઓક્ટોબરથી 19 તારીખ સુધી ચાલશે નહીં જેથી હવે સીધી 20 તારીખે સુનાવણી હાથ ધરાશે. જોકે, આર્યન ખાને તેટલા દિવસ જેલમાં વિતાવવા પડશે.
ગઈકાલે NCBએ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં એનસીબીએ કહ્યું છે કે ભલે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હોય પરંતુ તે ડ્રગ્સ પેડલરોના સંર્પકમાં હતો અને આ એક મોટું ષડ્યંત્ર છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી છે. NCB પ્રયત્ન કરી રહી છે કે આર્યનને જામીન નહીં મળે.
એનસીબીએ કોર્ટને કહ્યું કે રેકોર્ડ પર ઉપલબ્ધ કેટલીક સામગ્રીને જોતા સામે આવ્યું છે કે આર્યન વિદેશમાં કેટલાક લોકોના સંપર્કમાં હતો જેઓ ડ્રગ્સની ગેરકાયદે ખરીદી માટે ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો હોય શકે. જેની તપાસ ચાલી રહી છે. એનસીબીએ એમ પણ કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે આર્યન ખાન તેના મિત્ર અરબાઝ મર્ચેન્ટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો અને તે માદક પદાર્થોની ગેરકાયદે ખરીદી અને વિતરણમાં પણ સામેલ હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp