રવિવારે બપોરે ટકરાશે ચક્રવાત ‘જવાદ’, 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ચક્રવાત યાસ અને ગુલાબ બાદ ઓરિસ્સામાં આ વર્ષનું ત્રીજું વાવાઝોડું ટકરાવા જઈ રહ્યું છે. આજે બપોરે ચક્રવાત જવાદ બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જે આવતીકાલે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકિનારા તરફ આગળ વધશે અને ત્યારબાદ રવિવારે સવારે ઓરિસ્સાના પૂરીમાં ત્રાટકશે.
શુક્રવારે સવારે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન બાદ બપોર સુધીમાં ચક્રવાત બન્યું હતું. હાલ તે વિશાખાપટ્ટનમથી 420 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. તેમજ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારાના વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ચક્રવાત રવિવારે બપોર સુધીમાં પૂરી નજીક પહોંચશે અને ત્યારબાદ તેની અસર શરૂ થશે. વાવાઝોડાના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે.
શનિવારે અને રવિવારે સવારે વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે અને 90 થી 110 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે શુક્ર અને શનિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 6 ડિસેમ્બર બાદ વરસાદની તીવ્રતા ઘટી જશે અને ઉત્તર પૂર્વમાં થોડી અસર વર્તાશે.
ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં અમુક વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેમજ અમુક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ સાવચેતીના ભાગરૂપે દરિયાકિનારા પરની તમામ પ્રવુત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
વાવાઝોડાના કારણે ઉભી થતી કોઈ પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ રાજ્યો મળીને NDRF ની 46 ટીમ તહેનાત કરવામાં આવી છે. તેમજ આ રાજ્યોના તમામ કાંઠાવિસ્તારના જિલ્લાના અધિકારીઓને સતર્ક રહેવા માટે અને ટીમો તૈયાર રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈને અને તેની તૈયારીઓની સમીક્ષા માટે પીએમ મોદીએ ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને યોગ્ય પગલાં ભરવા સૂચનો કર્યા હતા. સરકારની અખબારી યાદી અનુસાર, તમામ મંત્રાલયો અને સબંધિત એજન્સીઓ સામંજસ્ય સાધીને કામ કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp