નવરાત્રિ, મા દુર્ગાને સમર્પિત તહેવાર, જે પૂર્ણ થવાની તૈયારીમાં છે. નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. 13 ઓક્ટોબર નવરાત્રિનો આઠમો દિવસ છે. નવરાત્રીના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાનો વાન ખૂબ જ ઉજળો છે, તેથી તેમને મહાગૌરીના નામથી બોલાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, મા મહાગૌરીએ સખત તપસ્યા કરીને ગૌર વર્ણ પ્રાપ્ત કર્યું હતું. એવું માનવામાં આવે છે કે મા મહાગૌરી ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે અને તેમના અધૂરા અને ધારેલા કાર્યો પૂર્ણ કરે છે. દુર્ગાષ્ટમી અથવા મહાષ્ટમીના દિવસે કેવી રીતે પૂજા કરવી, પ્રિય ભોગ અને મંત્રો જાણો
સૌ પ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થવું. ત્યારબાદ બાજઠ અથવા પાટલા પર માતા મહાગૌરીની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો. આ પછી ગંગજળથી શુદ્ધિકરણ કરવું જોઈએ.
ચાંદી, તાંબુ અથવા માટીના કળશમાં પાણી ભરીને, આંબા અથવા આસોપાલવના પાંચ કે સાત પાન મૂકી તેના પર શ્રીફળ મૂકો અને ત્યારબાદ બાજઠ પર કળશ સ્થાપિત કરો. પછી બાજઠ પર
શ્રી ગણેશ, વરુણ, નવગ્રહ, ષોડશ માતૃકા (16 દેવીઓ), સપ્ત ઘૃત માતૃકા (સાત સિંદૂર બિંદુ) વગેરેની સ્થાપના કરો.
શાસ્ત્રો અનુસાર મા ગૌરી વૈવાહિક પ્રેમની દેવી છે. માતા મહાગૌરીની પૂજા કરતી વખતે પીળા કે સફેદ કપડા પણ પહેરી શકાય છે. મહાગૌરીની પૂજા કરતી વખતે આસન, આધ્યા, આચમન, સ્નાન, વસ્ત્રો, સૌભાગ્યનું સૂત્ર, ચંદન, કુમકુમ, હળદર, સિંદૂર, દુર્વા, આભૂષણો, ફૂલો, ધૂપ-દીવો, ફળ, પાન, દક્ષિણા અને પીળા ફૂલો અર્પણ કરવા જોઈએ. મહાગૌરીને શીરાનો ભોગ ચડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા ચણા માતા રાણીને પ્રિય છે.
હવે મહાઅષ્ટમી અથવા દુર્ગાષ્ટમીનો સંકલ્પ લો અને મંત્રોનો જાપ કરતી વખતે, મા મહાગૌરી સહિત તમામ દેવતાઓનું ધ્યાન કરો. મહાષ્ટમીની પૂજા પછી કુંવારિકાઓને ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી મા મહાગૌરી શુભ ફળ આપે છે.