200 કરોડ મની લોન્ડરિંગ કેસ મામલે બોલિવુડની બે અભિનેત્રીઓને ઇડીનું સમન
દિલ્હી: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં સંડોવણીના કારણે બોલિવુડ ચર્ચામાં છે ત્યારે વધુ બે અભિનેત્રીઓને મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ સમન્સ પાઠવ્યા છે. અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હીની તિહાડ જેલમાંથી 200 કરોડની વસૂલીના રેકેટ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ઇડીએ આજે નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું હતું અને પૂછપરછ માટે નવી દિલ્હી સ્થિત ઓફિસે પહોંચવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તેણે દિલ્હી સ્થિત ઇડી કાર્યાલય પહોંચી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જ્યારે આ કેસમાં જેકલીનને આવતીકાલે પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
દિલ્હીની તિહાડ જેલમાંથી 200 કરોડ રૂપિયાની વસૂલી કરવાના કેસમાં સુકેશ ચંદ્રશેખર અને તેની કથિત પત્ની એક્સ્ત્રેસ લીના પાલ જેલમાં બંધ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અન્ય લોકોની સાથે સુકેશે નોરાને પણ પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી. નોરા અને જેકલીન ઉપરાંત સુકેશના નિશાના પર અન્ય ઘણા બોલિવુડ કલાકારો અને ફિલ્મકારો હતા.
આ મામલે ઈડી અગાઉ જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી ચુકી છે. પહેલા ઇડીને આશંકા હતી કે જેકલીન આ કેસમાં સામેલ છે પરંતુ કેસની તપાસ કરતા જાણવા મળ્યું કે તે આ કેસમાં વિકટીમ છે. સુકેશ ચંદ્રશેખરે લીના પોલની મદદ લઈને જેકલીન સાથે છેતરપીંડી કરી હતી. જેકલીને આ અગાઉ ઇડીને આપેલા નિવેદનમાં સુકેશ સાથે જોડાયેલી ઘણી અગત્યની જાણકારી આપી હતી.
આ કેસમાં સુકેશ અને અને તેની પત્ની પોલીસની ગિરફતમાં છે. લીના છેતરપિંડી કરવા માટે સુકેશનો સાથે આપતી હતી અને સુકેશ જેલમાંથી જ લીનાની મદદથી આ નેટવર્ક ચલાવી રહ્યો હતો. ધરપકડ થયા બાદ લીનાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે સુધીર અને જોએલ નામના બે શખ્સો સાથે મળીને તે આ બેનામી પૈસાનું રોકાણ કરતી હતી.
જેલની અંદરથી નેટવર્ક ચલાવવાનું બહાર આવતા દિલ્હી પોલીસના 9 અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર વિભાગીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જ્યારે આ મામલે છ અધિકારીઓ અને કર્મચારીઓને પહેલેથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp