બિન-કાશ્મીરીઓની હત્યા કરનાર આતંકી સંગઠન સામે આવ્યું, ધમકી આપીને કહ્યું: અમારી જમીન છોડી દો અથવા..
શ્રીનગર: કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલી હિંદુઓ અને બિનકાશ્મીરી લોકોની હત્યાની જવાબદારી લશ્કર સાથે જોડાયેલા આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટે લીધી છે. ULF દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી કે બિન-કાશ્મીરીઓ ખીણ છોડી દે અથવા તેમને પણ મારી નાંખવામાં આવશે.
રવિવારે કાશ્મીરમાં વધુ બે બિહારીઓની હત્યા કરી નાંખવામાં આવી હતી. જ્યારે અન્ય એકને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 11 લોકો માર્યા ગયા છે. આ હત્યાઓને અંજામ આપવાનો સિલસિલો 2 ઓક્ટોબરના રોજથી શરૂ થયો હતો.
આતંકી સંગઠને રવિવારે એક પત્ર જારી કર્યો જેમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ-કાશ્મીર લખ્યું છે અને નીચે સંગઠનના પ્રવક્તા ઉમર વાનીનું નામ અને સ્ટેમ્પ છે. પત્રમાં લખવામાં આવ્યું છે, ‘અસ્સલામ વાલેકુમ, આજે ‘સ્વતંત્રતા સેનાનીઓએ’ ત્રણ બિન સ્થાનીય હિંદુત્વવાદી લોકોને દક્ષિણ કાશ્મીરના કુલગામના વાનપોહ વિસ્તારમાં માર્યા હતા. હિંદુત્વ કટ્ટરપંથીઓએ બિહારમાં 200 મુસ્લિમોને છેલ્લા એક વર્ષમાં માર્યા. પહલેથી જ ધમકી આપવામાં આવી ચુકી છે કે તેઓ અમારી જમીન છોડી દે અથવા ભોગવવા માટે તૈયાર રહે. આ હુમલાઓ ભારતીય સેનાના ‘માસૂમ નાગરિકો’ પર કરવામાં આવેલ અત્યાચારો વિરુદ્ધ છે.’
આતંકી સંગઠને ધમકી આપતા કહ્યું કે, ‘’અમે ફરી બિનકાશ્મીરી લોકોને અમારી જમીન છોડવા માટે કહી રહ્યા છીએ અથવા તેઓ પરિણામ માટે તૈયાર રહે. જો સેના નાગરિકો વિરુદ્ધ અત્યાચાર ખતમ નહીં કરે તો અમારા લોકો રાજનેતાઓ અને પોલીસના પરિવારોને નિશાન બનાવવામાં બિલકુલ સંકોચ નહીં અનુભવે.’
કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાનો સિલસિલો 2 ઓક્ટોબરે શરૂ થયો હતો, જયારે મોહમ્મદ શફી ડાર નામના વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી કારણ કે તેમની ઉપર સુરક્ષાબળો સાથે લિંક હોવાનો આરોપ હતો. એ જ દિવસે શ્રીનગરના મજિદ અહમદ ગોઝરીને સેનાની મદદ કરવાનો આરોપ લગાવીને મારી નાંખવામાં આવ્યા હતા.
ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં ફાર્મસીની દુકાન ચલાવતા 68 વર્ષીય માખનલાલ બિંદુને દુકાન સામે જ ગોળી મારીને મારી નાંખવામાં આવ્યા હતા. 5મીએ જ શ્રીનગરના લાલ બજારમાં વિરેન્દ્ર પાસવાનને મારી નાંખવામાં આવ્યા હતા. આ જ દિવસે મોહમ્મદ શફી લોન જેઓ બાંદીપોરા ટેક્સી સ્ટેન્ડના અધ્યક્ષ હતા તેમની પણ હત્યા કરી નાંખવામાં આવી હતી.
7 ઓક્ટોબરે ઘાટીની એક શાળામાં હિંદુ શિક્ષકોને મારવા સાથે શરૂ થયો હતો. આતંકીઓએ શાળામાં ઘૂસી જઈને તમામ શિક્ષકોને લાઈનમાં ઉભા રાખ્યા હતા અને તેમના ઓળખ પત્રો ચેક કર્યા હતા. જેમાંથી બિન મુસ્લિમ બે શિક્ષકોને ગોળી મારી દીધી હતી. જેમાં એક હિંદુ અને એક શીખ શિક્ષકનો સમાવેશ થાય છે.
16 ઓક્ટોબરે યુપીના વતની અને સુથારી કામ કરતા સગીર અહમદની પુલવામામાં હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત અરવિંદ કુમાર શાહ બિહારના વતની હતી અને શ્રીનગરમાં પાણીપુરી વેચતા હતા. આતંકીઓએ તેમને નિશાન બનાવીને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
ગઈકાલે 17 ઓક્ટોબરે રાજા ઋષિદેવ અને જોગિન્દર ઋષિ દેવ નામના બે બિહારના હિંદુઓને કુલગામમાં ગોળી મારવામાં આવી, ત્યારબાદ તેમના મોત થઇ ગયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp