મોટી દુર્ઘટના : ઉનાના નવાબંદરની 15 બોટ પાણીમાં ગરકાવ, 10થી વધુ સાગરખેડુ લાપતા
ગીર સોમનાથ જીલ્લાના ઉનાના નવાબંદરની અંદાજે 13 થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ મળ્યા છે. જેમાં આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયાની વિગતો સામે આવી રહી છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ભૂમધ્ય પ્રદેશમાં ઉદ્દભવતું એક વધારાનું ઉષ્ણકટિબંધીય તોફાન છે જે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગોમાં અચાનક શિયાળામાં વરસાદ લાવે છે, જે પૂર્વમાં બાંગ્લાદેશ અને દક્ષિણ પૂર્વ નેપાળના ઉત્તરીય ભાગો સુધી વિસ્તરે છે.
આ આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે આવી પરિસ્થિતિમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપાઈ હતી. તે છતાંય માછીમારો દરિયામાં ગયા હતા. એવામાં રાત્રિ દરમિયાન આવેલા મીની વાવાઝોડાએ માછીમારો પર કહેર વરસાવ્યો. નવાબંદરના માછીમારોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.
આ દુર્ઘટનામાં પંદર જેટલી બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે તેમજ અનેક માછીમારો ગાયબ થયાના અહેવાલ મળ્યા છે. હજુ પણ દરિયો ગાંડોતુર થયો છે. ખરાબ હવામાન અને ભારે પવનનાં કારણે સમુદ્રમાં તોફાન હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઈ હતી.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં નોંધપાત્ર માવઠું નોધાયું છે. રાજ્યના 24 તાલુકામાં બે ઈંચથી વધુ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે, તો વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, મહુવા, પલસાણા અને ઉમેરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટાઉદેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યાની માહિતી મળી છે.
રાજ્યમાં હજુ આજે પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં વણનોતરેલા માવઠાને લીધે રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp