'ગણપતિ' નામ કઈ રીતે પડ્યું એ પાછળનો પૌરાણિક ઇતિહાસ જાણો.
ભગવાન શ્રી ગણેશને ગજાનન, લંબોદર, એકદંત, વક્રતુંડ, સુમુખ, ભાલચંદ્ર, વિધ્નહર્તા વગેરે જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. આ દરેક નામ કઈ રીતે પડ્યા એના કારણો છે. જો કે ભાવિક ભક્તો તો પ્રભુને 'બાપ્પા'નાં હુલામણા નામે જ બોલાવે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે 'ગણપતિ' નામકરણ કઈ રીતે થયું, એ જાણવું રસપ્રદ રહેશે.
શિવપુરાણમાં એક કથા છે કે એક વાર માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યાં હતા, એ સમયે તેમણે ભગવાન શિવની ગેરહાજરીમાં તેમના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે.
થોડીવાર પછી શિવજીએ જયારે ઘરમાં પ્રવેશ કરવા ગયા ત્યારે બાળકે તેમણે રોકી લીધા. શિવજીને આ અપમાનજનક લાગ્યું, તે બાળક પર ક્રોધિત થયી ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ જે બાળકની નિર્માતા સ્વયં શક્તિસ્વરૂપ જગદંબા માતા હતા તેણે કોણ પરાજીત કરી શકે? તેથી ગુસ્સે ભરાયેલા ભગવાન શંકરે ત્રિશૂળથી એ બાળકનું શિરછેદ્ કરી દીધું. જયારે માતા પાર્વતીએ આ દૃશ્ય જોયું, ત્યારે તેણે કાલી દેવીનું રૂપ લીધું અને પ્રલય કરવાનું નક્કી કર્યું.
ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર માં જગદંબાની સ્તુતિ કરીને તેમણે શાંત કર્યા. ત્યારબાદ શિવએ તેના તમામ અનુયાયીઓને તુરંત જઇને એક બાળકનું માથું લઈ આવવાનો આદેશ આપ્યો. શિવજીનાં નિર્દેશ પર વિષ્ણુજીએ ઉત્તર દિશામાં સૌપ્રથમ મળેલ હાથીના બચ્ચાનું માથું લઈ આવ્યા. શિવજીએ ગજના એ મસ્તકને બાળકના ધડ પર મૂકીને તેણે ફરીથી જીવિત કરી દીધો.
માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાનાં હ્રદયે લગાવી દીધો પણ તેમણે એ વાતનું દુખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે. શિવજી એ માતાની વ્યથા જાણીને બાળકને આશીર્વાદ આપ્યા કે, 'સર્વદેવોમાં પ્રથમ પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાવ, ગિરિજાનંદન વિધ્નોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે.'
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એ બાળકને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા. બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનુ વરદાન આપ્યું. તેથી એ બાળક 'ગણપતિ' કહેવાયા.
ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે દરરોજ સવારે સ્નાન કરીને ગણેશજીની પૂજા કરવી. પાંચ દુર્વા એટલે કે લીલો ઘાસ લેવો અને એ દુર્વાને ગણેશજીના કપાળ પર મૂકવા જોઈએ. દુર્વાને પગ પાસે રાખશો નહીં. દુર્વા ચઢાવતી વખતે ‘ઇદમ દુર્વાદલમ્ ૐ ગણ ગણપતયે નમ:' મંત્રનો જાપ કરવો. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા (અક્ષત, જે તૂટેલું નથી તે) અર્પણ કરો. પૂજામાં બાફેલા, તૈયાર કરેલા ભાતનો ઉપયોગ ન કરો. ગણેશજીને સુકા ચોખા ચઢાવશો નહીં. ત્યારબાદ ચોખા ભીના કરો. 'ઇદમ્ અક્ષતમ ઓમ ગણપતયે નમ:' મંત્રનો ઉચ્ચાર કરતી વખતે ગણેશને ત્રણ વાર ચોખા ચઢાવો. ગણેશજીને શમી ખૂબ પ્રિય છે. જો શમીના થોડા પાન નિયમિતપણે ગણેશજીને અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન અને ખુશી વધે છે. શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર છોડ છે જેની પૂજાથી ગણેશજી અને શનિ ભગવાન બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામે રાવણને પરાજીત કરવા માટે શમીની ઉપાસના પણ કરી હતી.
આ તહેવાર ભારતમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલો માટીથી બનાવેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે.