મુખ્યમંત્રીનો મંત્રીઓને આદેશ : અઠવાડિયાના બે દિવસ સામાન્ય જનતાને મળવા માટે ફાળવો
ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે વિસ્તારોમાં થયેલ નુકસાનની સહાય અંગે તેમજ અન્ય મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ નિર્ણયો અંગે બે પ્રવક્તા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વઘાણીએ માહિતી આપી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, રાજ્યના દૂરના ગામડાંઓ કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહીં યોજવા સૂચના આપી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય કર્યો છે. નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંત્રીઓ દર મંગળવારે તેમના કાર્યાલયે સામાન્ય જનતાને મળીને તેમના પ્રશ્નો સાંભળતા હતા. તેને સ્થાને હવે દર સોમવારે અને મંગળવારે મંત્રીઓ સામાન્ય જનતા માટે સમય ફાળવશે. સાથે અધિકારીઓને પણ આનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp