ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોની માંગ : આ વ્યક્તિના હાથમાં સોંપવામાં આવે ગુજરાત કોંગ્રેસની કમાન
ગાંધીનગર: ગયા અઠવાડિયે ભાજપે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ઉથલપાથલ મચાવી દીધા બાદ હવે કોંગ્રેસ (Congress) પણ સક્રિય થઇ છે. આગામી ૨૭ અને ૨૮ તારીખે વિધાનસભાનું ટૂંકું સત્ર (Assembly Session) મળવાનું છે ત્યારે આ સત્રમાં પાર્ટીની શું રણનીતિ હશે તે નક્કી કરવા માટે ગઈકાલે કોંગ્રેસી ધારાસભ્યો (Congress MLAs) વચ્ચે બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઈને પણ ચર્ચા થઇ હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ એક સૂરે એવી માગણી ઉઠાવી હતી એ ગુજરાત કોંગ્રેસની કમાન ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરના (Prashant Kishor) હાથમાં વહેલી તકે આપી દેવી જોઈએ. આ ઉપરાંત ધારાસભ્યોએ રાજ્યના પ્રભારીની પણ નિમણૂંક કરવા હાકલ કરી હતી. નોંધવું જોઈએ કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રાજીવ સાતવનું કોરોનામાં નિધન થઇ ગયું હતું.
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો અગાઉ પણ વહેતી થઇ હતી. તેઓ રાહુલ ગાંધીના સંર્પકમાં હોવાનું કહેવાયું હતું. ખાસ કરીને કોંગ્રેસ પ્રશાંત કિશોરને ગુજરાત ચૂંટણીની જવાબદારી આપે તેવું ચર્ચાઈ રહ્યું હતું. હવે ધારાસભ્યોએ માંગ કરીને અટકળોને બળ પૂરું પાડ્યું છે.
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હીમાં પ્રશાંત કિશોરને મળ્યા હતા. એક મહિના પહેલા ભરતસિંહ દિલ્હી ગયા હતા અને ત્યાં તેમની બેઠક પ્રશાંત કિશોર સાથે થઇ હતી. લગભગ ૨ કલાક ચાલેલી આ બેઠકમાં તેમણે રાજ્યની વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. જોકે, પાર્ટી હાઈકમાન્ડે આ અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી.
બીજી તરફ, ગુજરાત કોંગ્રેસમાં પણ હવે ભાજપ જેવી ફોર્મ્યુલા અપનાવવામાં આવી શકે છે. ભાજપ બિનકાર્યક્ષમ નેતાઓ પાસેથી સત્તા લઇ લેવા માટે જાણીતી છે. જોકે, કોંગ્રેસ પણ હવે લોકસભા ચૂંટણી ન જીતનારા નેતાઓનું પત્તું કાપવાનું વિચારી રહી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. હાઈકમાન્ડે માત્ર હોદ્દા ભોગવ્યા કરતા સીનીયરોને સ્થાને યુવાઓના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન આપવા મન બનાવી લીધું છે. જોકે, પહેલેથી એક યુવાના હાથમાં તેમણે સુકાન આપી રાખ્યું છે પરંતુ તેઓ કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી.
મીડિયાના સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે, રાજ્યના પક્ષ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામા સ્વીકારી લઈને તેમના સ્થાને નવી નિમણૂંકો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ બે નેતાઓ બબ્બે વખત રાજીનામુ આપી ચુક્યા છે પરંતુ તેમના રાજીનામા સ્વીકારવામાં આવી રહ્યા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp