ઇદ-એ-મિલાદની ઉજવણીની ગાઈડલાઈન મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી, જુલુસમાં આટલા લોકો સામેલ થઇ શકશે
ગાંધીનગર: આવતીકાલે ઈદના તહેવારને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ઉજવણી માટેની ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇદના દિવસે જુલુસ માત્ર દિવસ દરમિયાન જ કાઢી શકાશે તેમજ જુલુસમાં મહત્તમ 15 લોકો એક જ વાહનમાં સામેલ થઇ શકશે. સરકારે હવે આ ગાઈડલાઈન બાબતે સ્પષ્ટતા કરી છે.
ગુજરાત સરકારે આજે એક અખબારી યાદી જારી કરીને સ્પષ્ટતા કરી છે કે, ઈદ-એ-મિલાદના તહેવાર સંદર્ભે જો કોઈ ધાર્મિક યાત્રા શેરી, મહોલ્લા અથવા મર્યાદિત વિસ્તારમાં કરવાની હોય તો તેમાં અગાઉના 24 સપ્ટેમ્બરના જાહેરનામા મુજબ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે 400 વ્યક્તિઓની મર્યાદામાં ભાગ લઇ શકશે. પરંતુ જો આ યાત્રા એકથી વધારે મહોલ્લા, સ્થાનિક વિસ્તારમાંથી જુલુસ સ્વરૂપે નીકળવાની હોય તો તેમાં 17 ઓક્ટોબરના હુકમ અનુસાર મહત્તમ 15 વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
-ઈદની ઉજવણી દરમિયાન નીકળનાર જુલુસમાં મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહનમાં સામેલ થઇ શકશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે સ્પષ્ટતા કરીને સ્થાનિક વિસ્તારોમાં નીકળનારા જુલુસ 400 લોકોની પરવાનગી અપાઈ છે
-ઈદના જુલુસનું આયોજન માત્ર દિવસ દરમિયાન કરવાનું રહેશે
-ઈદ-એ-મિલાદનું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે (જેને લઈને પણ સરકારે સ્પષ્ટતા કરી છે) અને શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે
-જુલુસ તેમજ અન્ય ઉજવણીમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે
નોંધવું જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોનાની અસર ઓછી થતા સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકોની હાજરી સાથે આયોજન કરવાની પરવાનગી આપી છે. તેમજ આઠ મહાનગરોમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુ વધુ એક મહિના માટે એટલે કે 10 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જેનો સમય રાત્રે 12 થી સવારે 6 સુધીનો રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp