સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને પગલે થયેલા પાકોના નુકસાન માટે સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં બાગાયત તથા કૃષિ પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જુનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લામાં અચાનક વરસેલા વરસાદએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
ત્યારે હવે સરકારે આ ખેડૂતોની મદદ માટે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રાહત પેકેજ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ તેઓને મળશે જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય.
બિનપિયત પાક માટે સહાય : રૂ. 12,000 પ્રતિ હેક્ટર
પિયત પાક માટે સહાય : રૂ. 22,000 પ્રતિ હેક્ટર
લાયક ખેડૂતો : જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું છે
અસરગ્રસ્ત વિસ્તાર : જુનાગઢ, વાવ, થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ
રજીસ્ટ્રેશન સમયમર્યાદા : 15 દિવસ
પોર્ટલ : રાજ્ય સરકારનું કૃષિ પોર્ટલ
મહત્વની વાત એ છે કે, જ્યાં ભારે વરસાદના કારણે રવિ પાકનું વાવેતર શક્ય ન બન્યું હોય, તેવા ખેડૂતોનો પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભ માટેનું રજીસ્ટ્રેશન 11 નવેમ્બરથી શરૂ થયું છે. ખેડૂતોને પોતાના ગામના વી.એસ.સી. (Village Service Centre) અથવા વિલેજ કોમન સર્વિસ સેન્ટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સમયસર રજીસ્ટ્રેશન કરીને સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે.