ભારતના આ દુશ્મનો ખુલ્લેઆમ તાલિબાન સરકારમાં જોડાશે? ભારત માટે ચિંતાનો વિષય!
Haqqani Network will be the part of new Taliban Government : અફઘાનિસ્તાનમાં (Afghanistan) રાજકીય ઉથલપાથલ બાદ લાંબા અંતરાલ પછી ફરી એકવાર તાલિબાનનું આતંકી શાસન આવ્યું છે. સ્વાભાવિક રીતે ભારત માટે આ બાબત ચિંતાજનક છે. અને ભારતની ચિંતામાં વધારો થાય એવા સમાચાર આવી રહ્યા છે, કે કુખ્યાત હક્કાની નેટવર્ક (Haqqani Network) પણ તાલિબાન (Taliban) સરકારમાં જોડાવા જઈ રહ્યું છે!
હક્કની નેટવર્ક એક પ્રકારનું ખુફિયા નેટવર્ક છે. તેણી રચના ઇસ ૧૯૮૦માં જલાલુદ્દીન હક્કાની દ્વારા કરવામાં આવી હતી. એ સમયે એનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનમાં રહીને સોવિયેત રશિયા સામે લડવાનો હતો. એ વખતે અમેરિકાએ જલાલુદ્દીન હક્કાનીને નાણા અને હથિયારોની ભરપૂર સહાય કરી હતી, અને એને અફઘાન વોરનો હીરો તરીકે ચીતરવામાં આવ્યો હતો. હક્કાની એ સમયે અમેરિકાનો ખાસ્સો કરીબી મનાતો હતો. પરંતુ સોવિયેત સેના અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરી ગઈ એ પછી હક્કાનીએ અફઘાનિસ્તાનમાં મોજૂદ બીજા આતંકવાદી સંગઠનો સાથે ભેગા થઈને પોતાનું મજબૂત નેટવર્ક ઉભું કરવા માંડ્યું. જલાલુદ્દીન હક્કાનીના નવા મિત્રોમાં એક નામ ઓસામા બિન લાદેનનું પણ હતું.
સમય વીતતા તાલિબાનોએ ૧૯૯૬માં અફઘાનિસ્તાનમાં સરકાર રચી. એમાં હક્કાની પણ જોડાયો. ૨૦૦૧માં જ્યારે અમેરિકા પર ૯/૧૧નો આતંકવાદી હુમલો થયો, ત્યારે લાદેન અને તાલીબાનીઓની સાંઠગાંઠ બહાર આવી. પછી અમેરિકા ઓસામાની પાછળ પડ્યું, પણ તાલિબાને ઓસામાને મદદ કરવાનું ચાલુ રાખ્યું. આ સમય દરમિયાન અમરિકાનું પ્રેશર વધતા હક્કાની અફઘાનિસ્તાનમાંથી ભાગીને પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતના પર્વતીય વિસ્તાર વઝિરિસ્તાનમાં લપાઈ બેઠો. હક્કાનીને અમેરિકા તરફથી મળતી તમામ મદદ તો બંધ થઇ ચૂકી હતી, પરંતુ પાકિસ્તાન એને મદદ કરતું રહ્યું.
લાંબો સમય બિમાર રહ્યા બાદ ૨૦૧૮માં હક્કાની મોતને ભેટ્યો. તાલિબાને એના મોતની પુષ્ટિ કરી હતી. હક્કાનીના માર્યા બાદ એનો દીકરો સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો વડો બન્યો. હાલમાં સિરાજુદ્દીન તાલિબાનનો નંબર ૨ નેતા મનાય છે અને અમેરિકાના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદીમાં એનું નામ સામેલ છે. અમેરિકાએ હક્કાની નેટવર્કને વૈશ્વિક ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રોએ પણ આ સંગઠન પર પ્રતિબંધ જાહેર કર્યો છે. હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાઓ કરવામાં માટે કુખ્યાત છે. ૨૦૧૩માં તત્કાલીન અફઘાન સેનાએ હક્કાની નેટવર્કની માલિકીની એક ટ્રક કબજે કરી હતી, જેમાં ૨૮ ટન જેટલી ભારી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા!
હક્કાની નેટવર્ક પહેલેથી જ ભારતને પોતાનું દુશ્મન માનતું રહ્યું છે. ૭ જુલાઈ ૨૦૦૮ના દિવસે અફઘાનિસ્તાન ખાતેના ભારતીય દુતાવાસ પર હક્કાની નેટવર્ક દ્વારા આત્મઘાતી હુમલો કરાયેલો. ગૃહ મંત્રાલયની નજીક આવેલા અને અતિશય સુરક્ષિત ગણાતા આ વિસ્તારમાં ઘૂસી ગયેલા આતંકવાદીઓએ કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા ૬ ભારતીય સહિતના ૫૮ લોકોની હત્યા કરી હતી, જ્યારે ૧૦૦ કરતા વધુ લોકો ઘાયલ થયા હતા.
એ પછી ૨૦૦૯માં પણ દૂતાવાસને નિશાન બનાવાયું હતું, જેમાં ૧૭ લોકોના મૃત્યુ થયા હતા. એ સિવાય અફઘાનિસ્તાનમાં ચાલતા અનેક ભારતીય પ્રોજેક્ટ્સને પણ હક્કાની નેટવર્ક દ્વારા નિશાન બનાવાયા હતા. હક્કાની નેટવર્ક આ બધા ભારત વિરોધી કૃત્યો પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઇશારે કરે છે. હવે જ્યારે હક્કાની નેટવર્ક પોતે તાલિબાન સરકારમાં સામેલ થવા જઈ રહ્યું હોય, ત્યારે ભારત માટે એ ખરેખર ચિંતાજનક બાબત ગણાય. ભારત અને અમેરિકા, એમ બને સાથે દુશ્મની ધરાવનાર હક્કાની નેટવર્ક જેવું આતંકી સંગઠન આ રીતે ખુલ્લેઆમ તાલિબાન સરકારનો હિસ્સો બનશે, તો એ પરિસ્થિતિ દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં મોટી તંગદીલી ઉભી કરશે જ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp