ગુજરાતી નહીં ભણાવતી પ્રાથમિક શાળાઓની માન્યતા પરત લઇ લેવા હાઇકોર્ટનો ગુજરાત સરકારને આદેશ, જાણો શું છે મામલો
ગુજરાત હાઇકોર્ટે ગુજરાતી નહીં ભણાવતી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ પર આકરા પગલા લેવા સરકારને આદેશ આપ્યો છે. . આવી શાળાઓને આપવામાં આવેલી એનઓસી રદ કરવા હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપતા શૈક્ષણિક જગતમાં દોડાદોડ મચી જવા પામી છે. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી નહીં ભણાવવા મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી જેના પર હાઇકોર્ટની એક બેન્ચ સુનાવણી કરી રહી છે.
હાઇકોર્ટે આ બાબતે સરકારની પણ આકરી ટીકા કરી છે. કોર્ટે ટકોર કરી હતી કે શું સરકાર ગુજરાતી ભાષાને બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા સક્ષમ નથી? સરકાર દરેક એજયુકેશન બોર્ડ પર પોતાનો નિયમ એકસરખો રાખી કેમ શકતી નથી? એવો પ્રશ્ન પણ કોર્ટે કર્યો હતો. જે પ્રાથમિક સ્કૂલો ગુજરાતી ભાષા ન ભણાવે તેમની સ્કૂલનું એનઓસી પાછું ખેંચી લેવું જોઇએ એવો મત બેન્ચના ન્યાયાધીશોએ કર્યો હતો. અન્ય રાજ્યોમાં સ્થાનિક ભાષાને ભણાવવાનું કડકપણે પાલન થાય છે જ્યારે ગુજરાતમાં જ ઉદાસીન વલણ કેમ છે? હાઇકોર્ટે આ અંગે સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ કરીને વધુ સુનાવણી 14મી ઓક્ટોબર પર નક્કી કરી છે.
આ જાહેર હિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે ગુજરાત બોર્ડ સિવાયના શૈક્ષણિક બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવી રહી નથી. ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા શીખી શકતા નથી તે કરુણ બાબત છે. તાજેતરમાં મેળવેલી માહિતી પ્રમાણે 22 ગુજરાતી સ્કૂલો બંધ થઇ ગઇ છે.સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારે ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડની તમામ પ્રાથમિક સ્કૂલોમાં એકસરખી નીતિ બનાવવી જોઇએ. બેન્ચે સવાલ કર્યો હતો કે સરકાર કેમ કોઇ પગલા લેતી નથી? તમે કેમ અમલ નથી કરાવી શકતા? બાદમાં બેન્ચે ઉમેર્યું હતું કે જે રાજ્યનાં બાળકો માતૃભાષા જાણતા ન હોય એ રાજ્યની સંસ્કૃતિ લાંબો સમય ટકતી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp