હિમાચલ પ્રદેશ: રવિવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં કરૂણ અકસ્માત સર્જાયો હતો. લાંબા સમય સુધી ઘરની કેદમાંથી મુક્તિ મેળવ્યા પછી ખુશીનો સમય પસાર કરવા આવેલા પ્રવાસીના માથે અચાનક આફત આવી પડી હતી. અહીં ભૂસ્ખલનથી કુલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાંથી એક આયુર્વેદ ડોક્ટર દીપા શર્મા પણ સામેલ છે. જેમણે તેમના પ્રવાસ દરમિયાનની તસવીરો અડધા કલાક પહેલા જ પોસ્ટશેર કરી હતી અને લખ્યું હતું – ‘લાઈફ ઈઝ નથિંગ વિધાઉટ નેચર.'
દીપા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હતા. તેઓ પહેલીવાર સોલો ટ્રીપ પર ગયા હતા. પરંતુ દીપા શર્મા કે સોશિયલ મીડિયા ઉપર તેમની સંકળાયેલા કોઈને પણ ખ્યાલ નહોતો કે આ તેણીની અંતિમ ક્ષણો હશે. ગઈકાલે હિમાચલના કિન્નોરમાં બનેલી દુર્ઘટનામાં ડો.દીપા શર્મા કિન્નૌરમાં ભૂસ્ખલનથી પોતાનો જીવ ગુમાવી બેઠા.
રવિવારે કિન્નૌરમાં ભૂસ્ખલનની ઘટનાના થોડા સમય પહેલા ડો.દીપા શર્માએ ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. તેમણે લખ્યું કે, તેઓ હાલમાં ભારતના એ છેલ્લા સ્થળે ઉભા છે, જ્યાં સુધી સામાન્ય નાગરિકોને જવાની મંજૂરી છે. તિબેટ તેનાથી 80 કિમી આગળ છે, જ્યાં ચીને કબજો કર્યો છે. સોશિયલ મીડિયા પર દીપા શર્માની આ તસવીર લોકોએ બહુ પસંદ કરી હતી. આ ટૂરનો આનંદ તેના ચહેરા પર પણ દેખાઈ રહ્યો હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે આ છેલ્લી તસવીર છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો 34 વર્ષીય દીપા શર્માના અચાનક નિધનથી વ્યથિત થઇ ગયા છે. ભૂસ્ખલનમાં પોતાનો જીવ ગુમાવવાના એક દિવસ પહેલા તેણીએ ‘જીવન પ્રકૃતિ વિના કંઈ નથી.’ કેપ્શન સાથે તેના બે ફોટા પોસ્ટ કર્યા હતા.
કિન્નૌરમાં રવિવારે બપોરે 1.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે અચાનક સાંગલા-ચિતકુલ માર્ગ પર પર્વત પરથી પથ્થરો પડવા લાગ્યા હતા અને નીચે આવતાં વિનાશનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન નીચે બનાવેલો પુલ, પાર્ક કરેલા વાહનો તમામ નાશ પામ્યા હતા, બ્રિજ પરથી પસાર થતી એક ઓટો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી.
દીપાના આસ્ક્મિક નિધન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.