શું કોઈ સ્ત્રી પતિને જીવતેજીવ વૈધવ્ય ભોગવે? ઉત્તરપ્રદેશની અનેક સ્ત્રીઓ આવું કરે છે! જાણો રહસ્ય.
ભારતીય સમુદાયમાં કેટલીય જાતના સમાજો જોવા મળે છે. દરેક સમાજની પરંપરા અને રીત અલગ અલગ જોવા મળતી હોય છે. અમુક સમાજની કેટલીક પરંપરા તો તમને ચોંકાવી દે એવી હોય છે. ગછવાહા સમુદાય એક એવો જ સમાજ છે, જેમાં પોતાનો પતિ જીવિત હોવા છતાં મહિલાઓ વિધવાનું સ્વરૂપ ધારણ કરે છે! આવું કરવા પાછળ કયું રહસ્ય છુપાયું હશે?!
હિંદુ ધર્મમાં(Religion) સૌભાગ્યવતી સ્ત્રી માટે સિંદૂર, ચાંદલો, બંગડી, મંગળસૂત્ર જેવી વસ્તુનું ખૂબ મહત્વ છે. ખાસ કરીને સિંદૂર અને મંગળસૂત્ર વગર સૌભાગ્યવતી સ્ત્રી અધૂરી છે. આ બધી વસ્તુ સ્ત્રીના અખંડ સૌભાગ્યની નિશાની છે. બધાજ સમાજમાં સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત, તપ, જપ કરતી હોય છે. પરંતુ ‘ગછવાહા'(Gachhvaha) સમાજ એવો છે, જ્યાં સ્ત્રીઓ પતિ જીવિત હોવા છતા વર્ષનાં કેટલાક દિવસ વિધવાની (Widow) જેમ રહે છે. આ સમાજની મહિલાઓએ કેટલાય વર્ષોથી ચાલતા આવતા આ રીવાજને ચાલુ જ રાખ્યો છે. મળેલી માહિતી અનુસાર, આ સમાજની મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કેટલાક દિવસ સુધી વિધવાની જેમ રહે છે.
ગછવાહા સમાજ મુખ્યત્વે પૂર્વ ઉત્તરપ્રદેશમાં(UP) રહે છે. આ સમાજના પુરુષોનો મુખ્ય વ્યવસાય તાડી ઉતારવાનો છે. વર્ષના પાંચ મહિના પુરુષો ઝાડ ઉપર ચડી તાડી ઉતારવા માટે જંગલમાં રહે છે. આ પાંચ મહિનાના સમયગાળા દરમિયાન સ્ત્રીઓ સિંદૂર નથી લગાવતી અને કપાળે ચાંદલો પણ કરતી નથી. સૌભાગ્યવતી સ્ત્રીના કોઈ પણ શ્રૃંગાર ધારણ કરતી નથી અને ઉદાસ જ જોવા મળે છે. ગછવાહા સમુદાયમાં તરકુલહા દેવીની કૂળદેવી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. વર્ષના પાંચ મહિના દરમિયાન જયારે પુરુષો તાડી ઉતારવા માટે જાય છે, ત્યારે તેમની પત્નીઓ પોતાનો સૌભાગ્યવતી સ્ત્રી તરીકેનો તમામ પ્રકારનો સાજ-શણગાર કુળદેવી તરકુલહા માતાને અર્પણ કરી દે છે. કોઈ પણ વૃક્ષ પર ચડવું એ હંમેશા જોખમ ભર્યું કામ છે. હકીકતમાં તાડીના વૃક્ષ ખૂબ જ ઊંચા હોય છે. થોડી પણ ભૂલ થાય તો તેનું પરિણામ મોત આવી શકે. ગછવાહા સમાજમાં એવી માન્યતા છે કે જો સૌભાગ્યવતી સ્ત્રી પોતાનો સાજ-શણગાર કુળદેવીને અર્પણ કરી દે, તો કુળદેવી જોખમી કામ કરવા ગયેલા એના પતિની સુરક્ષા કરે છે. આથી પતિ સુરક્ષિત રહે અને લાંબુ આયુષ્ય ભોગવે એ માટે ગછવાહા સમાજની સ્ત્રીઓ સૌભાગ્યની નિશાનીઓને થોડા સમય માટે પોતાની કુળદેવીને સોંપીને ખુદ વૈધવ્ય અપનાવે છે. જ્યાં સુધી તેમના પતિ સકુશળ ઘરે પાછા ન ફરે, ત્યાં સુધી આ વૈધવ્ય ચાલે છે. પતિ પાછો ફર્યા બાદ વૈધવ્ય ભોગવતી સ્ત્રીઓ ફરીથી પોતાનો શણગાર ધરીને નવોઢાની જેમ જાતને સજાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp