ગુજરાત પ્લેઓફમાં, બાકી ત્રણ સ્થાન માટે 8 ટીમો વચ્ચે જંગ, જાણો સમીકરણ
ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League) 15મી સીઝન હવે બિઝનેસ એન્ડમાં પહોંચી ગઈ છે. લીગ સ્ટેજની 56 મેચ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે પ્લેઓફમાં ત્રણ સ્થાન ખાલી છે અને તેમાં 8 ટીમો વચ્ચે ટક્કર થવાની છે.
મંગળવારે પુણેના મેદાન પર ગુજરાત ટાઈટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રને પરાજય મેળવી પ્લેઓફની ટિકિટ હાસિલ કરી હતી. ગુજરાતે 9 મેચમાં જીત મેળવી છે અને તેના 18 પોઈન્ટ છે. વર્તમાન સ્થિતિ જોતા ગુજરાતની ટીમ ટોપ-2માં રહી શકે છે.
મંગળવારે ભલે લખનઉએ હારનો સામનો કરવો પડ્યો પરંતુ પોઈન્ટ ટેબલમાં કેએલ રાહુલની ટીમની સ્થિતિ મજબૂત છે. લખનઉએ અત્યાર સુધી 12 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. તેના 16 પોઈન્ટ છે. જો લખનઉ પોતાની છેલ્લી બે મેચ હારે તો પણ તે પ્લેઓફમાં પહોંચી જશે.
અત્યાર સુધી માત્ર ગુજરાતની ટીમે પ્લેઓફની ટિકિટ પાક્કી કરી છે, જ્યારે લખનઉ ટોપ-4માં જશે તે નક્કી લાગી રહ્યું છે. પ્લેઓફની બાકી બે જગ્યા માટે રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્, સનરાઇઝર્સ હૈદરાબાદ, આરસીબી, કોલકત્તા, ચેન્નઈ અને પંજાબ વચ્ચે જંગ જોવા મળી શકે છે.
રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે. રાજસ્થાનના 11 મેચમાં 14 પોઈન્ટ છે. તેવામાં તેને બે મેચમાં જીત મેળવવી પડશે. તો આરસીબીના 14 પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. જો આરસીબી છેલ્લી બંને મેચ જીતે તો પ્લેઓફમાં તેની ટિકિટ કન્ફર્મ થઈ જશે. જો આ બંને ટીમ એક-એક મેચ હારશે તો પ્લેઓફની રેસ રોમાંચક બનશે. ત્યારે સ્થિતિ નેટ રનરેટ અને અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેશે.
તો દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ અને પંજાબની ટીમ પ્લેઓફની રેસમાં બનેલી છે પરંતુ તેનો માર્ગ સરળ નથી. દિલ્હી, પંજાબ અને હૈદરાબાદના 11-11 મેચોમાં 10-10 પોઈન્ટ છે. આ ટીમોએ પોતાની બાકી ત્રણેય મેચ જીતવી પડશે, જે મુશ્કેલ લાગી રહ્યું છે. તો કોલકત્તા અને ચેન્નઈની ટીમ પોતાની બાકી તમામ મેચ જીતે તો પણ 14-14 પોઈન્ટ સુધી પહોંચશે. તેવામાં આ બંને ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની તક ખુબ ઓછી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp