ગુજરાતના આ જિલ્લામાં જૂની અદાવતમાં ઘર્ષણ ઊભું થતાં આખા ગામમાં આતંક ફેલાયો! આગચંપીથી કરોડોનું નુકસાન, જાણો
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાયો હતો. આ દરમિયાન મકાન-વાહનોમાં તોડફોડ કરી બે ઘરોને આગ ચાંપી દેવાઈ હતી. ઘટનાની જાણ થતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મજરા ગામની આ ઘટનામાં બેકાબૂ બનેલા ટોળા દ્વારા ૨૬ કાર, ૫૧ બાઈક, ૨ આઈશર ટેમ્પો, ૪ મીની ટેમ્પો, ૩ ટ્રેક્ટર, ૧૦ મકાનને નુક્સાન પહોંચાડાયું હતું. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. એલસીબી, એસઓજી સહિતની ટીમોએ મજરા પહોંચીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે 60 લોકો સામે નામજોગ અને 120 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. અને CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
આ ઘટના વિશે મજરા ગામના પંચાયતના સદસ્ય જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મંદિરના વહીવટને લઈને આ અથડામણ થઈ હતી. ગત રાત્રિએ ભૈરવદાદાના મંદિરે આરતીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ ઘટના બની હતી. દિવાળીના તહેવારોમાં ભૈરવદાદાના મંદિરે આરતી અને ગરબા યોજાય છે. ગરબાના આયોજન પહેલા જ ગામમાં ભારે જૂથ અથડામણ સર્જાયુ હતું. ટોળા દ્વારા પથ્થરમારો કરી વાહનોને અને ઘરને નુકસાન કરાયું હતું. સરપંચ સહિત ભૈરવ મંદિર અને જૂની અદાવતમાંથી આ ઘર્ષણ સર્જાયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp