ભારતમાં એક સ્વદેશી રસી સહિત બે વેક્સિન અને એક દવાને મંજૂરી, જાણો કેટલી છે અસરકારક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે વધુ બે કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી હતી. તેમજ સાથે એક એન્ટી વાયરલ દવાને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબતની જાણકારી આપી હતી.
તેમણે ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, કોવિડ-19 સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને આરોગ્ય મંત્રાલયે બે કોરોના રસીઓ 'કોવોવાક્સ' અને 'કોર્બિવેક્સ' તેમજ એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
ગત સોમવારે સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની વિષય નિષ્ણાત સમિતિએ (SEC) સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ અને બાયોલોજિકલ-E કંપનીની કોર્બિવેક્સ રસીની મંજૂરીની ભલામણ કરી હતી. ઓથોરિટીએ કહ્યું કે આ રસીઓ અમુક શરતો સાથે ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે. આ સાથે SEC એ આપાત સ્થિતિમાં ભારતમાં કોવિડની દવા મોલનુપીરાવીરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી હતી.
'કોવોવેક્સ' અમેરિકન કંપની નોવાવેક્સ દ્વારા બનાવવામાં આવી છે. તેને WHO દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ચૂકી છે. ઑગસ્ટ 2020 માં નોવાવેક્સ અને ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) વચ્ચે કોવોવૅક્સને લઈને એક કરાર થયા હતા. આ ડીલ બાદ કોવોવેક્સ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે. પુણેમાં તેનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવે છે. ગયા ઓક્ટોબરમાં સીરમ ઇન્સ્ટીટ્યુટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને કોવોવેક્સના ઉપયોગ માટેની મંજૂરી માટે અરજી કરી હતી.
બીજી વેક્સિન કોર્બિવેક્સને ભારતીય કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવવામાં આવી છે. એટલે કે, તે Covaccine અને Zycov-D પછી ત્રીજી સ્વદેશી રસી છે. કેન્દ્ર સરકારે 1,500 કરોડ રૂપિયામાં બાયોલોજિકલ-ઈને 30 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ રસીના બંને ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે.
મોલનુપીરાવીર દવા કોરોનાની સારવાર માટેની દવા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તાજેતરમાં જ કોવિડના દર્દીઓ માટે 'મર્ક' કંપનીની આ દવાને મંજૂરી આપી હતી. અગાઉ નવેમ્બરમાં યુકેએ પણ આ દવાને મંજૂરી આપી હતી.
સિપ્લા, ટોરેન્ટ અને સન ફાર્મા જેવી 13 કંપનીઓ ભારતમાં આ દવા બનાવશે. જોકે, આ દવા હવે માત્ર વયસ્કોને જ આપવામાં આવશે. ઉપરાંત, તે ફક્ત એવા દર્દીઓને આપવામાં આવશે કે જેમને ગંભીર લક્ષણો હશે અને જેમને ગંભીર રીતે બીમાર થવાનું વધુ જોખમ હશે. મોલનુપીરાવીર દવા ડૉક્ટરની સલાહ પર જ આપવામાં આવશે. નિષ્ણાતોના મતે 200mg કેપ્સ્યુલનો કોર્સ 5 દિવસનો હશે. આ દવા સગર્ભા સ્ત્રીઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે પ્રતિબંધિત રહેશે.a
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp