નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં (New Corona cases) ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ ફરી એકવખત નવા કેસ ૪૦ હજારનો આંકડો વટાવી ગયા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર, એક દિવસમાં કોરોનાના નવા ૪૧,૮૦૬ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સ્વસ્થ થનાર લોકોની સંખ્યા નવા કેસ કરતા ઓછી છે. ૨૪ કલાકમાં ૩૯,૧૩૦ લોકો સ્વસ્થ થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની (Active cases) કુલ સંખ્યા 4,32,041 છે. દેશમાં હવે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૪,૧૧,૯૮૯ થઇ છે. છેલ્લા એક દિવસમાં કોરોનાએ વધુ ૫૮૧ લોકોનો ભોગ લીધો હતો.
દેશમાં કોરોનાથી સાજા થવાનો દર (Recovery Rate) હાલ ૯૭.૨૮ ટકા છે, જે મે મહિનામાં આવેલી બીજી લહેરના પિક કરતા ઘણો સારો છે. આ સિવાય સાપ્તાહિક પોઝિટિવિટી (weekly Positivity Rate) રેટ પણ ૨.૨૧ ટકા કરતા ઓછો જ રહે છે. પરંતુ નવા કેસોમાં થઇ રહેલા વધારાને કારણે ભય વધ્યો છે. દેશના કેટલાક રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઇશાન રાજ્યોમાં નવા કેસો વધી રહ્યા છે અથવા સ્થિર રહે છે. પરંતુ કેસ ઘટતા ન હોવાના કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે. એટલું જ નહીં, બુધવારે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં રાજ્યોને કહેવામાં આવ્યું કે વધુ ભીડ થતી હોય તેવા સ્થળોએ રાજ્ય પોતાની રીતે પ્રતિબંધો લાદી શકે છે.
છેલ્લા ત્રણ દિવસથી નવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આવેલા આંકડા અનુસાર, એક દિવસમાં ૩૮,૭૯૨ નવા કેસ મળી આવ્યા હતા. અગાઉ મંગળવારનો આંકડો ૩૧,૪૪૩હતો, જે ૧૧૮ દિવસમાં મૃત્યુનો સૌથી ઓછો આંકડો હતો. જેથી નવા કેસોનો આંકડો માત્ર બે દિવસમાં આશરે ૧૦,૦૦૦ જેટલો વધ્યો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા અત્યાર સુધીમાં મળી આવેલા કુલ કેસોના ૧.૩૯ ટકા જેટલી છે પરંતુ જો કેસ વધતા જ રહ્યા અને સાજા થનારા લોકોની સંખ્યા તેનાથી ઓછી જ રહી તો તેમાં વધારો પણ જોવા મળી શકે છે.