26 જાન્યુઆરીએ પીએમ મોદીને ટાર્ગેટ કરવાનું આતંકીઓનું ષડ્યંત્ર : ઈનપુટ મળતા સિક્રેટ એજન્સીઓ એલર્ટ
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ નજીક છે ત્યારે ગુપ્તચર એજન્સીઓને આતંકી ષડ્યંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય VIP ના જીવને જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નવ પાનાંની જાણકારી સામે આવી છે જેમાં પીએમ મોદી અને ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ હસ્તીઓને જોખમ હોવાનું કહેવામાં આવ્યું છે.
જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો ષડ્યંત્ર રચી રહ્યા છે. ગણતંત્ર દિવસે મધ્ય એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષોને મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે. જોકે, આ મામલે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.
રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો છે.
ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની જૂથો પણ પંજાબમાં આતંક ફેલાવવા માટે કેડર્સને એકત્ર કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ ટાર્ગેટેડ હુમલાની યોજના બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં મળેલા ઈનપુટ્સ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી જૂથો વડાપ્રધાનના બેઠક અને પ્રવાસન સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પાકિસ્તાની ISI ના ઇશારે થઇ રહ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
આઈબી તરફથી દિલ્હી પોલીસને મોકલવામાં આવેલ એલર્ટમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા માટે અને પીએમની સુરક્ષાને લઈને કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાડોશી રાજ્યો હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે સંપર્કમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp