પાર્ટીના મોટા નેતાઓએ રાજીનામા આપ્યા બાદ ‘આપ’ના ઇસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું
ગાંધીનગર: આમ આદમી પાર્ટી માટે હાલ સારો સમય ચાલી રહ્યો નથી. પહેલા ગાયક વિજય સુવાળાએ પાર્ટી છોડીને ભાજપનો ખેસ પહેરી લીધા બાદ ગઈકાલે પાર્ટીના નેતા મહેશ સવાણીએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો સાથ છોડતા કહ્યું કે હવે તેઓ સમાજસેવા કરવા માગે છે.
બહુ ટૂંકા સમયગાળામાં પાર્ટીના બબ્બે નેતાઓએ સાથ છોડી દીધા બાદ ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી. તેમણે ભાજપ પર પોતાના નેતાઓઓને પ્રલોભનો આપીને પાર્ટી છોડાવી હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ વિપક્ષને ડરાવી અને ધમકાવી રહ્યો છે અને ઘણા નેતાઓની ફેકટરીઓ પર રેડ પણ પડાવી છે.
તેમણે કહ્યું કે, પાંચ વ્યક્તિઓ આગામી સમયમાં જોડાશે અને પાંચ જશે પણ. પરંતુ તેનો અર્થ એ નથી કે પાર્ટી તૂટશે. તેમણે ‘આપ’ પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે અને ઘણા આવશે અને જશે પરંતુ અમારી લડાઈ ચાલશે. વિજય સુવાળા અને મહેશ સવાણીએ પાર્ટી છોડવા મામલે તેમણે કહ્યું હતું કે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને તેમણે પ્રેસ કોન્ફરન્સમાં બધું કહી જ દીધું છે. તેમણે કહ્યું કે, આ સંઘર્ષનો રસ્તો છે અને મને નથી લાગતું કે કોઈ જાય પરંતુ કોઈ થાકી જાય તો એ બેસી જશે.
આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે તેવા આરોપ મામલે તેમણે કહ્યું કે, બી ટીમ હોત તો કમલમ્ ખાતે વિરોધ કરવા ગયા હતા ત્યારે અમને જેલમાં મોકલ્યા ન હોત અને 19 કલમો ન લગાડી હોત. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ ભાજપ-કોંગ્રેસ પર વિશ્વાસ ન કરે. ભાજપે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી છે, પરંતુ અમારી લડાઈ ચાલુ જ રહેશે.
છેલ્લા બે દિવસમાં આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. પહેલા લોકગાયક વિજય સુવાળાએ પાર્ટી છોડી હતી અને ત્યારપછી ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે ગઈકાલે સાંજે મહેશ સવાણીએ પણ પાર્ટી છોડવાનું એલાન કર્યું હતું. જોકે, મહેશ સવાણીએ પોતે ભાજપમાં જોડાશે કે કેમ તે સવાલ પર મૌન સેવ્યું હતું પરંતુ રાજકારણના સૂત્રો જણાવી રહ્યા છે કે તેમના માટે કમલમ્ હવે બહુ દૂર નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp