જમ્મુ કાશ્મીરમાં વરસાદી કહેર : વાદળ ફાટતા 6નાં મોત, 40 લોકો ગુમ
જમ્મુ કશ્મીરમાં મેઘરાજાએ ફરી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં (Kishtwar) વાદળ ફાટવાના કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે. કેટલાંક મકાનો ધરાશાયી થઈ ગયા છે. આશંકા છે કે અનેક મૃતદેહો કાટમાળની નીચે દબાયા છે. જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડોડામાં ચેનાબ નદીમાં (River) પાણીનું સ્તર વધ્યું છે. રામબનમાં લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ ચાલુ છે.
કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ ભારતીય સેના, એનડીઆરએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. રેસ્ક્યૂ ટીમ અકસ્માત બાદ ગૂમ થયેલા લોકોની શોધમાં લાગી છે. મળતી માહિતી મુજબ કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા હતા. કેટલાકના મોત અને આ અકસ્માત બાદ 40 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. જ્યારે કેટલાય લોકો હજી કાટમાળની નીચે દબાયા હોવાની આશંકા છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. કુલ્લુની મણિકર્ણ ખીણમાં બ્રહ્મગંગા નદીમાં સવારે છ વાગ્યે પૂર આવ્યુ હતું. જેમાં માતા-પુત્રના તણાવાના અહેવાલો સામે આવ્યા છે. લોકો સલામત સ્થળો તરફ દોડવા લાગ્યા. દરમિયાન માતા-પુત્ર પણ સલામત સ્થળ તરફ દોડવા લાગ્યાં હતાં, પરંતુ પૂરમાં બંને અચાનક તણાઈ ગયાં હતાં. એક કેમ્પિંગ સાઇટ પર પણ પાણી ભરાઈ ગયાં છે. અન્ય એક મહિલા પણ ગુમ હોવાનું કહેવાય છે, જેની પુષ્ટિ થવાની બાકી છે.
હોનજર આંતરિયાળ વિસ્તાર છે આથી રાહત ટીમને ત્યાં પહોંચવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કિશ્તવાડના નાયબ કમિશનર અનુસાર, રેસ્ક્યૂ-ઓપરેશનમાં ઝડપ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ પણ ત્યાં હાજર થઇ ચૂકી છે. વાદળ ફાટવાથી કિશ્તવાડમાં લગભગ 9 ઘરોને નુકસાન પહોંચ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp