કથક સમ્રાટ પદ્મ વિભૂષણ બિરજુ મહારાજે 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, સંગીતપ્રેમીઓમાં શોકનું મોજ

કથક સમ્રાટ પદ્મ વિભૂષણ બિરજુ મહારાજે 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું

01/17/2022 National

SidhiKhabar

SidhiKhabar

કથક સમ્રાટ પદ્મ વિભૂષણ બિરજુ મહારાજે 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, સંગીતપ્રેમીઓમાં શોકનું મોજ

નેશનલ ડેસ્ક: પ્રખ્યાત કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મ વિભૂષણથી સન્માનિત 83 વર્ષીય બિરજુ મહારાજનું  હાર્ટ એટેકને કારણે નિધન થયું છે તેમને રવિવારની રાત્રે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. બિરજુ મહારાજના અંતિમ સંસ્કાર દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. જો કે હજુ સમય નક્કી થયો નથી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


સૂત્રો અનુસાર માહિતી મળી હતી કે, મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનાં પરિવારજનોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલાં મહારાજને કિડનીની બીમારીની સારવાર કરવામાં આવી હતી.


સંગીતનો લય અટકી ગયો

ગાયક માલિની અવસ્થી અને અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. માલિની અવસ્થીએ લખ્યું, 'આજે ભારતીય સંગીતનો લય અટકી ગયો છે. સૂર શાંત થઈ ગયા. કથકના બાદશાહ પંડિત બિરજુ મહારાજજી હવે રહ્યા નથી. કાલકા-બિન્દાદિનની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજજી અનંતમાં વિલીન થઈ ગયા છે.'

અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'મહાન કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આજે આપણે કલાના ક્ષેત્રની એક મહાન હસ્તીને ગુમાવી દીધી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.'


બિરજુ મહારાજનું જીવનચરિત્ર

બિરજુ મહારાજનું જીવનચરિત્ર

લખનૌ ઘરાનાના બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનૌમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા હતું. કથક નૃત્યાંગના ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા. બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ સિવાય તેણે સત્યજીત રાયની ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં પણ સંગીત આપ્યું હતું.


બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણ (Padma Vibhushan)થી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. 2012 માં, તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ'ને કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top