કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamta Banerjee) રાજધાની દિલ્હીનું મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે. પરંતુ દિલ્હી જવા પહેલા એક નવો ‘બોમ્બ’ ફોડ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને મમતા બેનર્જીએ પેગાસસ સ્પાયવેર (Pegasus spyware) દ્વારા કથિત જાસૂસી કરવાના કેસમાં તપાસ માટે એક કમિશનની રચના કરી હોવાની જાહેરાત કરી છે.
આ તપાસ પંચમાં ખાસ કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય અને સુપ્રીમ કોર્ટના (Supreme court) નિવૃત્ત જજ જસ્ટિસ મદન બી લોકુરનો સમાવેશ થયો છે જેમને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
મમતા બેનર્જીએ કહ્યું કે આયોગ તપાસ કરશે કે આ સ્પાયવેર કેવી રીતે કામ કરતું હતું,. કયા લોકો પર જાસૂસી કરવામાં આવી હતી? તે કેવી રીતે કરવામાં આવી અને જાસૂસી કરવાનો હેતુ શું હતો. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ મામલાની તપાસ કરવા સમર્થ નથી માટે તેમની સરકારે એક નાની પહેલ કરી છે, જેથી અન્ય રાજ્યો પણ આ જ કરે.
પશ્ચિમ બંગાળ એ પહેલું રાજ્ય છે જેણે પેગાસસ સ્પાયવેર કેસ માટે તપાસ પંચની રચના કરી હોય.. મમતાએ કહ્યું કે લોકોને બોલતા બંધ કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે લોકો સત્યને જાણી શકે અને આશા રાખે કે અન્ય રાજ્યો પણ તપાસ કરીને સત્ય શોધી કાઢશે. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આ કમિશનમાં હેકિંગ, મોનિટરિંગ, ટ્રેકિંગ, લોકોના મોબાઇલ ફોનની ગેરકાયદેસર રેકોર્ડિંગની તપાસ કરવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે રાજકીય પક્ષો ઉપરાંત મીડિયા પર્સન, સામાજિક કાર્યકરો અને તમામ અધિકારીઓના ફોન પર નજર રાખવામાં આવી રહી છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. હું જસ્ટિસ લોકુર અને ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને વિનંતી કરીશ કે શક્ય તેટલી વહેલી તકે તપાસ શરૂ કરવામાં આવે, જેથી સત્ય બહાર આવે. તેમણે એમ પણ કહ્યું કે બંગાળમાં ઘણી પાર્ટીઓના નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારે પેગાસસ સ્પાયવેર દ્વારા એક રીતે તમામ લોકોને નજરકેદ હેઠળ રાખ્યા છે.
મમતાએ કહ્યું કે અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ કરાવે, પરંતુ સરકારે સંસદ સત્ર દરમિયાન તેની પહેલ કરી નહોતી. તેથી જ અમે તપાસ પંચની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે.