યુપી ધર્માન્તરણ કેસ : સૌથી મોટું સિન્ડીકેટ ચલાવનાર મૌલાના સિદ્દીકીની ધરપકડ, વિદેશથી ફન્ડિંગ મળતું હતું
લખનઉ: ઉત્તરપ્રદેશ ATS એ ગેરકાયદે ધર્મ પરિવર્તન કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી યુપી એટીએસએ મૌલાના કલીમ સિદ્દીકી સહિત 11 લોકોની ધરપકડ કરી છે. યુપી એટીએસ અનુસાર, કલીમ સિદ્દીકી બિન-મુસ્લિમોને ફસાવીને તેમને ધર્માન્તરણ કરાવવાના રેકેટમાં સામેલ છે. તે મુઝફ્ફરનગરના ફુલતનો રહેવાસી છે.
રાજ્યના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, મૌલાના કલીમના ખાતામાં એક સમયે ૧.૫ કરોડ રૂપિયા બહેરીનથી આવ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયા આવી ચુક્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે ATS ની છ ટીમો બનાવવામાં આવી છે. મૌલાના કલીમ સિદ્દીકી જામિયામાં વલીઉલ્લાહ નામનું ટ્રસ્ટ ચલાવે છે, આ જ ટ્રસ્ટમાં પૈસા આવ્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૌલાના કલીમ દિલ્હીમાં રહે છે અને ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ છે. તે વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની આડમાં ગેરકાયદે ધર્માંતરણ કરે છે. આ કામ માટે વિદેશથી મોટા પાયે ફંડિંગ કરવામાં આવી રહ્યું છે.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે તે દેશમાં સૌથી મોટું કન્વર્ઝન સિન્ડિકન્ટ ચલાવે છે. બિન-મુસ્લિમોને ગેરમાર્ગે દોરી અને ડરાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે. એવું પણ સામે આવ્યું છે કે કલીમ સિદ્દીકી પોતાનું ટ્રસ્ટ ચલાવવા ઉપરાંત તમામ મદરેસાઓને પણ નાણાં આપે છે, જેના માટે મૌલાના કલીમને હવાલા અને અન્ય માધ્યમથી વિદેશથી મોટું ભંડોળ મોકલવામાં આવે છે.
ધર્મ પરિવર્તનના કેસમાં કલીમ સિદ્દીકીની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોવાની શંકા હતી. 64 વર્ષીય મૌલાના કલીમ સિદ્દીકી મંગળવારે સાંજે 7 વાગ્યે સાથી મૌલવીઓ સાથે મેરઠના લીસાડીગેટ સ્થિત હુમાયુનગર મસ્જિદ મશાલ્લાહના ઇમામ શારિકના ઘરે એક કાર્યક્રમમાં આવ્યો હતો. લગભગ નવ વાગ્યે ઇશાની નમાઝ બાદ તે સાથીઓ સાથે ફૂલત જવા માટે રવાના થયો તે દરમિયાન યુપી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. પોલીસે મૌલાના સાથે તેના ત્રણ સહયોગી મૌલાનાઓ અને ડ્રાઈવરની પણ અટકાયત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp