અર્જૂન તેંદુલકરનો સાથ છોડશે મુંબઈ ઈન્ડિયન્સ, IPL 2026ના ઓક્શન અગાઉ આ ટીમ સાથે કરશે અદલાબદલી
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકરને પાછલી સિઝન માટે યોજાયેલી મેગા હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. જોકે અર્જૂન 2025માં એક પણ મેચ રમ્યો નહોતો, પરંતુ હવે IPL 2026 અગાઉ ડિસેમ્બરમાં મિની હરાજી યોજાવા જઈ રહી છે. રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બરે બહાર પાડવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટ થઇ જશે કે કઈ ફ્રેન્ચાઈઝીએ કયા ખેલાડીને રિટેન કર્યો છે અને કયા ખેલાડીને રીલિઝ કર્યો છે. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ અર્જૂન તેંદુલકર છોડી શકે છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે અર્જૂન તેંદુલકર અને શાર્દુલ ઠાકુરને લઈને વાતચીત ચાલી રહી છે. અહેવાલમાં સૂત્રોના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે બંનેની અદલાબદલી થઈ શકે છે, જો કે તે સંપૂર્ણ રોકડ ટ્રાન્સફર હોઈ શકે છે.
IPL ટ્રેડના નિયમો અનુસાર, માત્ર BCCI જ સત્તાવાર રીતે કોઈપણ ટ્રાન્સફરની જાહેરાત કરી શકે છે, એટલે કદાચ બંને ફ્રેન્ચાઈઝી કંઈપણ કહેવા માગતી નથી. મુંબઈ ક્રિકેટ સાથે સંકળાયેલા એક સૂત્રએ ક્રિકબઝને પુષ્ટિ કરી છે કે આ બંને વચ્ચે ટ્રેડ થવાની સંભાવના છે. તેની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે.
ગયા વર્ષે યોજાયેલી મેગા હરાજીમાં શાર્દુલ ઠાકુર અનસોલ્ડ રહ્યો, ત્યારબાદ લખનૌ સુપર જાયન્ટ્સે તેને 2 કરોડમાં રિપ્લેસમેન્ટ તરીકે પોતાની ટીમનો ભાગ બનાવ્યો. ઠાકુરે 2025ની સિઝનમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં તેણે 13 વિકેટ ઝડપી હતી. ઠાકુર પણ સારી બેટિંગ કરે છે, જોકે તેણે છેલ્લી સિઝનમાં બેટથી વધુ યોગદાન આપ્યું નહોતું.
અર્જૂન તેંદુલકરની વાત કરીએ તો તેને ગત સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. અર્જૂન પ્રથમ સિઝન (2023)થી મુંબઈ સાથે છે, પરંતુ તે વધુ અસર છોડી શક્યો નથી. 2023માં અર્જૂને 4 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 3 વિકેટ ઝડપી હતી. 2024માં તેને માત્ર 1 મેચ રમવાની મળી, જેમાં તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp