સુરત : મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછે છે: ‘તમારે ઘર વેચવાનું છે?’; જાણો શું છે સમગ્ર મામલો
સુરત: થોડા સમય પહેલા ભરૂચમાંથી હિંદુઓના ઘરોની બહાર મકાન વેચવાના બોર્ડ લગાવવામાં આવેલા હોવાનો મામલો સામે આવ્યો હતો. આવો એક કિસ્સો હવે સુરતમાં પણ સામે આવ્યો છે જ્યાં હિંદુ કે જૈનોના મકાનો ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને હાથો બનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.
સુરતમાં હાલમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં મુસ્લિમ મહિલાઓ જૈન લોકોના રહેણાંક વિસ્તારમાં જઈને દરવાજા ખખડાવીને પૂછી રહી છે કે, શું તમારે ઘર વેચવાનું છે? જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાઈરલ થઇ રહ્યા છે. તો આ મામલે ગુજરાત સરકારે પણ કાર્યવાહીના આદેશ આપવાની ફરજ પડી છે.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સુનિશ અપાર્ટમેન્ટનો આ કિસ્સો છે. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં વાઈરલ થયા છે. એક વિડીયોમાં દેખાય છે કે બે મહિલાઓ- જેમાંથી એકે બુરખો પહેર્યો છે- એક ઘરનો દરવાજો ખખડાવીને પૂછે છે કે તેમણે મકાન વેચવાનું છે. ત્યારબાદ મકાનમાલિક નકારમાં જવાબ આપતા મહિલા તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને ત્યાંથી જતી રહે છે.
બંને વ્ચ્ચેની વાતચીતના અંશ :
મહિલા : તમારે આ ઘર વેચવાનું છે?
માલિક : બિલ્ડીંગમાં કોઈ મકાન વેચવાનું નથી. તમને અહીં કોણે મોકલ્યા?
મહિલા : અમને એવી ખબર પડી
માલિક : આવી રીતે કોઈને પૂછ્યા વગર નહીં આવવાનું, કોઈ ઘર વેચવાનું નથી
મહિલા : તારું ઘર વેચવાનું છે કે નહીં તે કહે, બિલ્ડીંગની ચિંતા ન કર.
આ અંગે અપાર્ટમેન્ટના પ્રમુખનું કહેવું છે કે, તે વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધી ગઈ હોવાના કારણે એક જનરલ મીટીંગ બોલાવીને તમામે ઘર વેચવા અંગે સહમતિ દર્શાવી હતી. ત્યાં આ વિડીયો વાઈરલ કરનાર ભાઈ પણ હતા. અત્યારે 15 માંથી 12 મકાનો વેચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડીંગમાં કુલ 15 ફ્લેટ છે. આસપાસ મુસ્લિમોની વસ્તી છે. ઉપરાંત લિફ્ટ વગેરે પણ સુવિધા નથી. જેના કારણે લોકો મકાન વેચવા માગે છે. અશાંતધારો લાગુ હોવાના કારણે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. આ મામલે પોલીસે ભૂતકાળમાં પણ તપાસ કરી છે.
વાઈરલ વિડીયો મામલે પોલીસે કહ્યું કે, મકાન વેચવા માટે દબાણ કરવામાં આવતું હોવાની હકીકત પોલીસને મળી નથી. વિડીયોમાં એક મહિલા પૂછપરછ કરતા દેખાય છે પરંતુ તેમની ઓળખ થઇ શકી નથી. ત્રાસ કે બળજબરી કે કાયદો-વ્યવસ્થાની કોઈ બાબત હોય તેવું જણાઈ રહ્યું નથી. તેમ છતાં તપાસ બાદ જ સંપૂર્ણ જાણકારી બહાર આવી શકે છે.
બીજી તરફ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ગઈકાલે કહ્યું હતું કે, સુરતમાં અશાંતધારો લાગુ હોવા છતાં પરિવારને ફ્લેટ ખરીદવા અંગે માગણી કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ મામલે યોગ્ય તપાસ કરી જરૂર જણાય તો કાર્યવાહી પણ કરીશું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp