નારાયણ રાણેએ શરદ પવાર વિશે એવું તો શું કહ્યું કે શિવસેનામાં લાગી આગ; સંજય રાઉતએ PM મોદીને કરી અપીલ
નેશનલ ડેસ્ક : ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના એનસીપી પ્રમુખ શરદ પવાર અંગેના નિવેદનને લઈને શિવસેના આકરા પ્રહારો કરી રહી છે. કોઈનું નામ લીધા વિના પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું, "શું ભાજપ આ પ્રકારની ભાષાને મંજૂરી આપે છે? સરકારો આવશે અને જશે, પરંતુ મહારાષ્ટ્ર શરદ પવાર વિરુદ્ધ આ પ્રકારની ભાષાને સહન કરશે નહીં."
વાસ્તવમાં, રાણેએ ગુરુવારે શરદ પવાર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ (પવાર) શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે.
ટ્વીટ્સમાં રાણેએ કહ્યું હતું કે, શરદ પવાર બળવાખોર ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે કે તેઓએ મહારાષ્ટ્ર વિધાનસભામાં આવવું જોઈએ. કેમ નહિ? તેઓ ચોક્કસપણે પાછા આવશે અને તેમની ઇચ્છા મુજબ મતદાન કરશે. જો તેમને કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો જવાબદાર વ્યક્તિનું ઘરે જવું મુશ્કેલ બની જશે. એવા પણ કેટલાક લોકો છે કે જેઓ સમય સમય પર બળવો કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે."
રાઉતે રાણે પર વળતો પ્રહાર કર્યો
આ અંગે પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું, "પવાર સાહેબને ધમકીઓ મળી રહી છે. એક કેન્દ્રીય મંત્રી ધમકીઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ તેને(પવાર સાહેબને) ઘરે પણ નહીં જવા દેશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ વાતને ધ્યાનથી સાંભળવી જોઈએ કે તમારો એક મંત્રી શરદ પવારજીને ધમકી આપી રહ્યો છે, શું તમને તે મંજૂર છે?"
શરદ પવારે શું કહ્યું?
અગાઉ, શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર (MVA) નું ભાવિ વિધાનસભામાં નક્કી કરવામાં આવશે અને શિવસેના-NCP-કોંગ્રેસ ગઠબંધન વિશ્વાસ મત જીતશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં કેમ્પ કરી રહ્યા હતા તેમને મુંબઈ પાછા આવવું પડશે.
રાજ્યમાં રાજકીય ઉથલપાથલ અંગે, રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીની તાકાત ઘટી ગઈ છે, જોકે તેમણે આશા વ્યક્ત કરી હતી કે બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટ દરમિયાન રાજ્યની MVA સરકારને ટેકો આપશે. "સંખ્યા ગમે ત્યારે બદલાઈ શકે છે. બળવાખોર ધારાસભ્યોની પાર્ટી પ્રત્યેની વફાદારીની વાસ્તવિક કસોટી તેઓ મુંબઈ પાછા ફર્યા પછી જ થશે," રાઉતે કહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp