આઝાદ હિંદ ફોજ, ગાંધીજી સાથે મતભેદ, રહસ્યમય મૃત્યુ.. : નેતાજીના જન્મદિવસે જાણો તેમના જીવનની જાણી-અજાણી વાતો
01/23/2022
Specials
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ છે, જેમણે 'તૂમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા'નું સૂત્ર આપ્યું હતું. નેતાજીના જન્મદિવસને મોદી સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ આજથી શરૂ કરવામાં આવશે.
નેતાજી સુભાષચંદ્ર બોઝનું (Netaji Subhash Chandra Bose) જીવન સંઘર્ષની ગાથા છે. સુભાષચંદ્ર બોઝ એવા માણસ હતા જેઓ પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતા હતા. જેઓ મફતમાં કશું સ્વીકારતા ન હતા અને આઝાદી માટે પોતાનું લોહી વહેવડાવવા તૈયાર હતા. નેતાજીની હાકલ પર હજારો લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યું હતું. આજે નેતાજીના જન્મદિવસે તેમના જીવનની જાણી-અજાણી વાતો જાણીએ.
જનતા માટે "નેતાજી" બની ગયા
નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ કટક, ઓડિશામાં થયો હતો. બોઝના પિતા જાનકીનાથ શહેરના પ્રખ્યાત વકીલોમાંના એક હતા. 14 ભાઈ-બહેનોમાં તેઓ તેમની માતાના 9મા સંતાન હતા. કોલકાતામાંથી સ્નાતક થયા અને ભારતીય સિવિલ સર્વિસ (ICS) અધિકારી બનીને તેમની યોગ્યતા સાબિત કરી. પરંતુ તેમને તેની નોકરી સાથે આવતી સુખ-સુવિધાઓ સાથે જીવવાની આદત ન હતી. સ્વામી વિવેકાનંદ અને આઝાદીમાં યોગદાન આપનારા અન્ય નેતાઓથી પ્રેરિત થઈને નેતાજીએ બ્રિટિશ નોકરીમાંથી રાજીનામું આપ્યું.
તેઓ એક યોદ્ધા હતા જેમણે આઝાદીની લડાઈ લડવી પડી હતી. તેમણે આઝાદીની ચળવળને પૂરા દિલથી સ્વીકારી એટલું જ નહીં પરંતુ આ ચળવળ આઝાદીની પ્રેરણા પણ બની.'તૂમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા સાથે દેશને જગાડવાની તૈયારી કરી. તેમની ફિલસૂફી અને વ્યક્તિત્વનો એવો કરિશ્મા હતો કે જે કોઈ તેમને સાંભળે તે તેમના તરફ આકર્ષિત થઈ જતું. તેમની લોકપ્રિયતા આસમાને પહોંચી અને તેઓ જનતા માટે 'નેતાજી' બની ગયા. જોકે, જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે સૌપ્રથમ બોઝને 'નેતાજી' કહીને સંબોધ્યા હતા.
નેતાજીએ જ મહાત્મા ગાંધીને પહેલીવાર 'રાષ્ટ્રપિતા' તરીકે સંબોધ્યા હતા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. નેતાજીએ જ મહાત્મા ગાંધીને પહેલીવાર 'રાષ્ટ્રપિતા' તરીકે સંબોધ્યા હતા. ગાંધીજીની સૂચના પર તેમણે દેશબંધુ ચિત્તરંજન દાસ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું, જેમને તેમણે પાછળથી તેમના રાજકીય માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. ટૂંક સમયમાં જ તેમણે તેમની નેતૃત્વની ભાવના બતાવી અને કોંગ્રેસમાં પોતાનું સ્થાન બનાવ્યું અને કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા આપી. જોકે, ભગતસિંહની ફાંસી પછી નેતાજી અને ગાંધીજી વચ્ચે મતભેદો શરૂ થયા, અને પછી તેઓ કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.
'આઝાદ હિંદ ફોજ'ની રચના કરી
તેઓ ભારત માતા સાથે એટલા જોડાયેલા હતા કે ગુલામીની સાંકળોમાં બંધાયેલા તેમના દેશે તેમને શાંતિથી જીવવા દીધા ન હતા. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમના પ્રત્યે આકર્ષણ હતું. 1933થી તેઓ થોડો સમય યુરોપમાં રહ્યા. પિતાના અવસાન પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રિયાની એમિલી સાથે લગ્ન કરનાર સુભાષ ચંદ્ર બોઝની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. ભારતને સ્વતંત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેમણે 21 ઓક્ટોબર, 1943ના રોજ 'આઝાદ હિંદ સરકાર'ની સ્થાપના કરી, ત્યારબાદ લગભગ 40,000 ભારતીયો સાથે 'આઝાદ હિંદ ફોજ'ની રચના કરી.
મૃત્યુનું રહસ્ય હજી પણ અંકબંધ
નેતાજીનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે. સરકારી દસ્તાવેજો અનુસાર, સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ 18 ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. તાઇવાનમાં એર પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે, જયારે જાપાન સરકારે કહ્યું કે તે દિવસે તાઈવાનમાં કોઈ વિમાન દુર્ઘટના થઈ ન હતી. જોકે, ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે નેતાજીનું મૃત્યુ એક કાવતરું હતું, જેનો ખુલાસો થઈ શક્યો નથી.
નેતાજીના ટોચના 5 પ્રેરણાત્મક સૂત્રો, જે આજે પણ દેશવાસીઓને પ્રેરણા આપે છે
-તૂમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા
-સંઘર્ષે મને એક માણસ બનાવ્યો, મારામાં આત્મવિશ્વાસ જગાડ્યો, જે પહેલાં નહોતો.
-જો સંઘર્ષ ન હોય, ડરનો સામનો ન કરવો પડે, તો જીવનનો અડધો સ્વાદ જ ખોવાઈ જાય છે.
-મને ખબર નથી કે આ આઝાદીની લડાઈમાં કોણ બચશે. પણ હું આ જાણું છું, અંતે જીત આપણી જ થશે.
-અંધારાનો સમય સવાર પહેલા આવવો જોઈએ, બહાદુર બનો અને લડતા રહો, કારણ કે સ્વતંત્રતા નજીક છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp