નવી દિલ્હી: મોદી મંત્રીમંડળના વિસ્તાર પહેલા રાજધાની દિલ્હીમાં ચહલપહલ વધી ગઈ છે. આજે સાંજે છ વાગ્યે નવા ૪૩ જેટલા મંત્રીઓ શપથ લેશે. તે પહેલા હાલના કેટલાક મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા છે. અત્યાર સુધીમાં કુલ ૯ મંત્રીઓ રાજીનામા આપી ચુક્યા છે જેમાં શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી વગેરેનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે રાજીનામું આપ્યા બાદ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ રાજીનામું ધરી દીધું છે. અનુમાન છે કે તેમને અન્ય કોઈ ખાતું આપવામાં આવશે. જેથી દેશને આગામી સમયમાં નવા સ્વાસ્થ્ય મંત્રી મળશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા, પ્રતાપ સારંગી અને દેબોશ્રી ચૌધરી વગેરેના પણ રાજીનામાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત થાવરચંદ ગેહલોત જેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય સંભાળતા હતા, જેમને ગઈકાલે કર્ણાટક રાજ્યના ગવર્નર પદે નીમવામાં આવ્યા છે. જેથી તેમનું સ્થાન પણ ખાલી પડ્યું છે. કોઈ નવા મંત્રી આ પદ સંભાળશે.
ગુજરાતમાંથી દર્શનાબેન, દેવુસિંહના નામ ચર્ચામાં, રૂપાલા-માંડવિયાને પ્રમોશન
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તો બીજી તરફ હાલ મંત્રીમંડળમાં રહેલા રાજ્યમંત્રીઓને પ્રમોશન અપાઈ શકે છે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ કેન્દ્રમાં મંત્રી બની શકે છે. ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણના નામની પણ ચર્ચા ચાલી રહી છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવી શકે છે. જયારે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન આપીને કેબિનેટમાં લઇ જવામાં આવી શકે છે.
આજે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જેમના નામની ચર્ચા ચાલી રહી છે તેવા કેટલાક નેતાઓ વડાપ્રધાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. પીએમ મોદીએ તમામ સાથે ચર્ચા કરી હતી, જેની તસવીરો વાઈરલ થઇ છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, રાજનાથસિંહ તેમજ સિંધિયા, અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, નરેન્દ્રસિંહ તોમર વગેરે જેવા નેતાઓ જોવા મળી રહ્યા છે.