બિહારમાં હવે JDU-RJDની સરકાર; 8મી વખત CM બન્યા નીતિશ કુમાર, તેજસ્વીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
નેશનલ ડેસ્ક : નીતીશ કુમારે બુધવારે રાજભવનમાં બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 21 મહિના પછી આ બીજી વખત છે, જ્યારે તેમણે સીએમ તરીકે શપથ લીધા. જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીતીશ 7 વર્ષમાં આઠમી વખત સીએમ બન્યા છે, જે બિહારના રાજકીય ઈતિહાસમાં એક રેકોર્ડ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી જબરદસ્ત રાજકીય હલચલ બાદ બિહારમાં બીજેપી અને જેડીયુ ગઠબંધન તૂટ્યું હતું, ત્યારબાદ નીતીશ કુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવી રહ્યા છે.
નીતિશ કુમારે 2013માં ભાજપ અને 2017માં આરજેડી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બંને વખત તેમણે સરકાર બનાવી અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ફરી એકવાર એનડીએ સાથેના સંબંધો તોડવાનો વારો આવ્યો, જે નીતિશ કુમારે અત્યંત શાંત રાજકીય શૈલીમાં પાર પાડ્યો.
પરંતુ આટલા વર્ષોની ઉથલપાથલ અને પરિવર્તનના રાજકીય નાટકોની વચ્ચે પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નથી, તે છે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન નીતીશ કુમારનું નામ. નવા ગઠબંધન અને નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે ભાજપે NDA ગઠબંધન તૂટવાના વિરોધમાં ધરણા કર્યા હતા.
મંગળવારે સાંજે નીતીશ કુમારે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને 164 ધારાસભ્યોના સમર્થન અને રાજીનામાનો પત્ર સોંપ્યો હતો. સમર્થન પત્ર સોંપવાના સમયે નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજભવનમાં હાજર હતા. રાજભવન છોડતી વખતે બંને નેતાઓ બહાર હાજર તેમના સમર્થકો અને કાર્યકરોને મળ્યા અને તેમનું અભિવાદન સ્વીકાર્યું.
મુખ્ય પ્રવેશદ્વાર પર પહોંચ્યા બાદ બંનેએ ત્યાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેજસ્વીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે બીજેપીનો કોઈપણ સહયોગી તેમની સાથે ઉભો રહી શકે નહીં. ઈતિહાસ કહે છે કે ભાજપ જે પક્ષો સાથે ગઠબંધન કરે છે તેને મારી નાખે છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં શું થયું તે આપણે જોયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp