પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુ આપઘાત કેસના આરોપીઓ વિરુદ્ધ થઇ શકે છે આ મોટી કાર્યવાહી
ગુજરાત ડેસ્ક : સૌરાષ્ટ્રની સૌથી મહત્વની અને નામાંકિત ક્લબ યુવી સંસ્થાના ચેરમેન અને જાણીતા કડવા પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ ફળદુએ 2જી માર્ચના રોજ આપઘાત કરી લીધો હતો. તેમણે આત્મહત્યા કરતા પહેલા એક પ્રેસનોટ રિલીઝ કરી હતી. જેમાં તેમણે તેમની આત્મહત્યા પાછળ જવાબદાર રાજકોટના નામાંકિત વ્યક્તિઓના નામ લખ્યા હતા.
રાજકોટના એડવોકેટ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આપઘાત કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, મનસુખ સુરેજા, અતુલ મહેતા, અમિત ચૌહાણ તેમજ ઓઝોન તસ્કની ગ્રુપના ડાયરેક્ટર જયેશ કાંતીલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતીલાલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ તમામ આરોપીઓ વિદેશ નાસી ગયાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. પરિવાર સાથે આરોપીઓ વિદેશ નાસી ગયા હોય પોલીસ હવે આ પ્રકરણમાં લુકઆઉટ નોટીસ જાહેર કરનાર છે.
પોલીસ દ્વારા આ મામલે ઈમિગ્રેશન વિભાગને જાણ કરી લૂક આઉટ નોટીસ જાહેર કરાશે. જેથી ગુજરાત કે દેશના અન્ય કોઈ એરપોર્ટ ઉપરથી આરોપીઓ ક્યા દેશમાં ગયા તેની જાણ રાજકોટ પોલીસને થશે બીજી તરફ જો આરોપીઓ વિદેશ નાસી ગયા હશે તો તેને પકડવા માટે પોલીસ વિદેશ મંત્રાલયની પણ મદદ માંગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત 2જી માર્ચના રોજ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને વકીલ મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગ્રુપ સહિત 7 વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. જો કે આ બનાવને 7 દિવસ વીતી ગયા હોવા છતા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
પોલીસનું કહેવું છે કે બે દિવસ પહેલા જયારે મહેન્દ્રભાઈએ આપઘાત કર્યો તેના થોડા સમય પછી જ તેની સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જેની જાણ થતા આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. એટલુ જ નહી, તમામ આરોપીઓ પોતાના પરિવાર સાથે મકાનને તાળા મારી ભાગી ગયા છે. તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હોવાથી કોઈ લોકેશન મળી રહ્યા નથી. આમ છતાં ટેકનિકલ સપોર્ટથી આરોપીઓના લોકેશન મેળવવા માટેના પ્રયાસો હાલ ચાલુ છે. અમદાવાદ રહેતા પાંચેય આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ-2 પોલીસની ટીમો હજુ પણ ત્યાં તહેનાત રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના એક અગ્રણીએ આત્મહત્યા કરી લીધી છે. જેમાં અનેક મોટા ગજાના બિલ્ડરો સહિતના મોટા માથાઓના નામ છે ત્યારે પોલીસ આ લોકો સુધી હજુ પણ નથી પહોંચી શકી, ત્યારે હાલ તો લોકોમાં પણ પોલીસની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp